ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ બીજું બજેટ છે. ગુજરાત સરકારે આ વર્ષે 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું છે. હવે બજેટ પર કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ચૂંટણી બાદ સરકાર જનતાને ભૂલી ગઈ છે.
Advertisement
Advertisement
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યુ કે જ્યારે રાજ્યમાં 156 બેઠક ધરાવતી સરકારે અમૃતકાળનું બજેટ રજૂ કર્યુ છે પરંતુ લોકો માટે બજેટમાં કોઇ પ્રકારનું અમૃત નથી. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે ખેડૂતોને આશા હતી કે તેમની આવક ડબલ થઇ જશે પરંતુ આ બજેટમાં ખેડૂત કંગાળ થઇ જશે. ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની કોઇ જોગવાઇ નથી. અમિત ચાવડાએ કહ્યુ કે ગુજરાતના યુવાઓને નવી ભરતી અને રોજગારની આશા હતી પરંતુ સરકારે રોજગાર માટે કોઇ યોજના કે કોઇ મોટી જાહેરાત કરી નથી. રાજ્યમાં વધતી મોંઘવારીના મુદ્દા પર અમિત ચાવડાએ કહ્યુ કે રાજ્યના બજેટમાં મોંઘવારી ઓછી કરવાની કોઇ જોગવાઇ નથી, માટે મધ્યમવર્ગને આ બજેટથી નિરાશા હાથ લાગી છે.
રાજ્ય દેવામાં ડુબેલુ છે પરંતુ વાત કરવામાં નથી આવતી- અમિત ચાવડા
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ બજેટને લઇને ભૂપેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે રાજ્ય દેવામાં ડુબેલુ છે પરંતુ તેના વિશે કોઇ વાત કરતુ નથી અને મોટા આંકડાની માયાજાળ ગુંથવામાં આવી રહી છે. રાજ્યમાં જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટે સરકાર દ્વારા કર્મચારીઓને કરવામાં આવેલા દાવા પણ આ બજેટમાં પુરા કરવામાં આવ્યા નથી. આ સિવાય ગુજરાતના અલગ અલગ કર્મચારીઓની માંગ પુરી કરવામાં નથી આવી અને આશા કાર્યકર્તા બહેનો, આંગણવાડી બહેનો અને નિયત વેતન કર્મીઓની માંગોને પણ સરકારે પુરી રીતે નજરઅંદાજ કરી દીધુ છે. બજેટમાં ચૂંટણીમાં બતાવવામાં આવેલા તમામ સપના ચકનાચુર થઇ ગયા છે.
Advertisement