નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ આવતા વર્ષે એક જાન્યુઆરી સુધી પૂર્ણ થવાની ગૃહમંત્રી અમિત શાહની જાહેરાતને લઇને તેમની પર નિશાન સાધ્યુ છે. મલ્લિકાર્જૂન ખડગેએ સવાલ કર્યો કે શું અમિત શાહ રામ મંદિરના પૂજારી છે જે આવી જાહેરાત કરી રહ્યા છે? તેમણે એમ પણ કહ્યુ કે આવી જાહેરાત સાધુ-સંતોએ કરવી જોઇએ અને ગૃહમંત્રી તરીકે અમિત શાહનું જે કર્તવ્ય છે તેમણે તેની પર ધ્યાન આપવુ જોઇએ.
Advertisement
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં ગુરૂવારે એક રેલીમાં કહ્યુ હતુ કે આવતા વર્ષે એક જાન્યુઆરી સુધી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઇ જશે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યુ હતુ, “રાહુલ બાબા સાંભળો, એક જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઇ જશે.”
તાજેતરમાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે પણ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની પ્રશંસા કરી હતી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા હેઠળ આયોજિત એક જનસભાને સંબોધિત કરતા ખડગેએ આ આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા લાલચ આપીને અને તપાસ એજન્સીઓનો દૂરઉપયોગ કરીને ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરવામાં આવી રહી છે. મલ્લિકાર્જૂન ખડગેએ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યુ, “રાહુલ ગાંધીની ધીરજ અને સાહસ જોઇને બધા ચોકી ગયા છે. અમે તો રાહુલ ગાંધીને દિલ્હીમાં જોતા હતા, એસીના રૂમમાં જોતા હતા, ગાડીમાં જોતા હતા પરંતુ આ રાહુલ અલગ નીકળ્યા, જેમણે કન્યાકુમારીથી લઇને પાનીપત સુધી પોતાની પદયાત્રા પુરી કરી છે..હું તેમણે શુભેચ્છા પાઠવું છું..”
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “રાહુલ ગાંધીની લડાઇ મોંઘવારી વિરૂદ્ધ, બેરોજગારી વિરૂદ્ધ છે. તે યુવાઓ માટે રસ્તા પર આવીને લડી રહ્યા છે.” ખડગેએ આરોપ લગાવ્યો, “મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, અમિત શાહ જ્યારથી ગૃહ મંત્રી બન્યા છે ત્યારથી માત્ર ચૂંટણીના ચક્કરમાં પડ્યા રહે છે…તે બીજા રાજકીય દળોમાં તોડફોડ કરે છે. ઇડી અને બીજી એજન્સીઓનો દૂરઉપયોગ કરે છે.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ, “બધા લોકો ભગવાનમાં આસ્થા ધરાવે છે પરંતુ તમે કેમ જાહેરાત કરો છો? મે (2024)માં ચૂંટણી છે તો કહો છો કે જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદ્દઘાટન થશે. શું તમે રામ મંદિરના પૂજારી છો? શું મહંત છો? સાધુ સંતોને બોલવા દો, તમારૂ કામ દેશની સુરક્ષા કરવી, લોકોનું સુરક્ષા કરવી, લોકોનું પેટ ભરવુ અને ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું છે.” કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે અમિત શાહ અને ભાજપના લોકો ચૂંટણી દાવાને ચૂંટણી પછી જુમલો ગણાવી દે છે, તેમણે આરોપ લગાવ્યો, “તેમના મુખમાં રામ, બગલમાં છુરી છે. આ છુરી લઇને ફરી રહ્યા છે, સમાજને વેચી રહ્યા છે, જાતિ, જાતિ અને ધર્મ, ધર્મ વચ્ચે ઝઘડો કરાવી રહ્યા છે.” ખડગેએ કહ્યુ, માટે રાહુલ ગાંધી આ પદયાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા વોટ માટે નથી, આ દેશહિત માટે છે.
Advertisement