ગાંધીનગર: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023 જાહેર કર્યુ હતુ. નિર્મલા સીતારમણે મોદી 2.0 સરકારનું પાંચમુ અને અંતિમ બજેટ રજૂ કર્યુ હતુ. સીતારમણે બજેટ 2023ને અમૃતકાળનું પ્રથમ બજેટ ગણાવ્યુ હતુ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ બજેટને આવકાર્યુ હતુ અને પ્રશંસા કરી હતી.
Advertisement
Advertisement
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટની પ્રશંસા કરતા કહ્યુ કે, “નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના નાણા મંત્રીએ આઝાદીના અમૃતકાળમાં રજૂ કરેલુ આ બજેટ ગરીબ, વંચિત, પીડિત, શોષિતોના હિતોને ધ્યાનમાં રાખીને બનાવેલુ અમૃત બજેટ છે. 2047નો અમૃતકાળનો રોડ મેપ નરેન્દ્ર મોદીની દિશામાં કંડારાયો છે. 7 ટકાના વિકાસદરની અપેક્ષા ધરાવતુ આઝાદીના અમૃત કાળનું પ્રથમ બજેટ 7 અમૃત મુદ્દાઓને આધારે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બનાવાયુ છે.”
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, મધ્યમવર્ગીય પરિવારને ઇન્કમટેક્સમાં રાહત આપીને મોટો આર્થિક લાભ થશે, ખાસ કરીને નાના સીમાંત ખેડૂતો, મહિલાઓ અને વૃદ્ધો માટે કરવામાં આવેલી જાહેરાત આવકારદાયક છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 66 ટકાના વધારા સાથે 7900 કરોડની ફાળવણીથી દેશના લાખો લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે. ગિફ્ટ સિટીમાં IFSCએ વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ આ બજેટના માધ્યમથી કરવામાં આવી તે આવકારદાયક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકારતા કહ્યુ કે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 33 ટકાના વધારા સાથે 10 લાખ કરોડ કરવામાં આવશે તેનાથી ગુજરાતને પણ લાભ થશે. સમગ્ર બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહીવિકાસ દ્વારા આત્મનિર્ભર ભારત સશક્ત ભારતની વડાપ્રધાનની નેમને પાર પાડશે.
Advertisement