નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ 3 જાન્યુઆરીથી કરવાના છે. આ પહેલા એક પત્રકાર પરિષદ કરીને રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર ફરી એક વખત પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશને પ્રેમ કરનારા વિપક્ષી દળ અમારી સાથે છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે મને અવાર નવાર કહેવામાં આવે છે કે ભારત જોડો યાત્રામાં તમારે બુલેટ પ્રૂફ કારમાં જવુ જોઇએ. તમે જ જણાવો ચાલીને ભારતને જોડી શકાય કે બુલેટ પ્રૂફ ગાડીમાં?
Advertisement
Advertisement
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે ખાસ કરીને RSS અને BJPના લોકોનો આભાર માનુ છુ કારણ કે જેટલા તે આક્રમણ કરે છે એટલો અમને સુધારો કરવાની તક મળે છે. હું ઇચ્છુ છુ કે તે વધુ જોરથી કરે જેનાથી કોંગ્રેસ પાર્ટીને પોતાની વિચારધારા સારી રીતે સમજમાં આવે. હું તેમને પોતાના ગુરૂ માનું છુ કે તે મને રસ્તો બતાવી રહ્યા છે કે શું કરવુ જોઇએ અને શું ના કરવુ જોઇએ અને સારી ટ્રેનિંગ આપી રહ્યા છે.
રાહુલ ગાંધીએ વિપક્ષને એકજૂટ કરવાના પ્રયાસ કરતા કહ્યુ કે વિપક્ષના નેતા અમારી સાથે ઉભા છે અને આ અમને ખબર છે. ભારત જોડોના દરવાજા તે બધા માટે ખુલ્લા છે જે પણ ભારતને જોડવા માંગે છે. અમે (ભારત જોડોમાં આવવા માટે) કોઇને નહી રોકીયે. માયાવતીજી અને અખિલેશજી ભારતમાં મોહબ્બત ઇચ્છે છે, નફરત નથી ઇચ્છતા.
આ સિવાય કોંગ્રેસના સાંસદે કહ્યુ કે હું શહીદ પરિવારનો છું અને હું જાણુ છુ કે જ્યારે એક યુવા પોતાનો જીવ આપી દે છે તો તેના પરિવાર પર શું વિતે છે પરંતુ ભાજપના ટોચના નેતૃત્વમાં કોઇ એવુ નથી જે આ સમજતુ હોય. અમે નથી ઇચ્છતા કે અમારી સેનામાં કોઇ જવાન શહીદ થાય. અમે નથી ઇચ્છતા કે આ વસ્તુને બેદરકારીથી લે અને સેના રાજકીય ફાયદા માટે ઉપયોગ ના કરવામાં આવે જેને કારણે તેનું નુકસાન આપણા જવાનો અને પરિવારને થાય.
સીમા વિવાદ પર રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન
રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, આપણી સરકારે ચીનના મુદ્દાને સંપૂર્ણપણે બિનઅસરકારક રીતે સંભાળ્યો છે. કોંગ્રેસની વિદેશ નીતિનો ઉદ્દેશ્ય ચીન અને પાકિસ્તાનને એક થવા દેવાનો ન હતો, જે અમે UPA-2 સુધી સારું કર્યું. આજે પાકિસ્તાન અને ચીન એક થઈ ગયા છે. આ સામાન્ય બાબત નથી. તેણે ડોકલામમાં પહેલું પગલું અને લદ્દાખમાં બીજું પગલું ભર્યું. મને એવુ લાગી રહ્યુ છે કે તેઓ તૈયારી કરી રહ્યા છે. હવે પ્રશ્ન ‘જો’નો નથી પણ ‘ક્યાર’નો છે. સરકારે આપણી હવાઈ, જમીન અને નૌકાદળની વાત સાંભળવી પડશે અને સેનાનો રાજકીય ઉપયોગ બંધ કરવો પડશે. ચીને આપણા 2000 કિમી વિસ્તાર લઈ લીધો અને પીએમ કહી રહ્યા છે કે કોઈ આવ્યું નથી. જો હું તમારા ઘરમાં ઘૂસી ગયો અને તમે કહો કે કોઈ અંદર ન આવે તો તે શું સંદેશ જશે? આ અંગે સરકાર મૂંઝવણમાં છે. જ્યારે આપણે સરકારની વાત કરીએ તો તેઓ સેનાની પાછળ છુપાઈ જાય છે. સરકાર અને સેનામાં ફરક છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યારે તેમના સીનિયર નેતા બુલેટ પ્રૂફ ગાડીમાંથી બહાર આવે છે તો કોઇ પત્ર નથી જતો, તેમના નેતાઓએ રોડ શો કર્યા, ખુલ્લી જીપમાં ગયા જે પ્રોટોકૉલ વિરૂદ્ધ છે, તેમના માટે પ્રોટોકૉલ અલગ, મારી માટે અલગ. CRPF જાણે છે કે મારી માટે શું કરવુ જોઇએ અને ના કરવુ જોઇએ. હું તમને એક વાત લખીને આપુ છુ કે કોંગ્રેસ મધ્ય પ્રદેશની ચૂંટણી જીતશે અને ભાજપ ત્યા જોવા નહી મળે. મધ્ય પ્રદેશમાં તોફાન આવેલુ છે અને ત્યા દરેક કોઇ જાણે છે કે ભાજપે ત્યા પૈસા આપીને સરકાર બનાવી છે. આખુ રાજ્ય ગુસ્સામાં છે.
Advertisement