અંબાજી મંદિર ખાતે છેલ્લાં ઘણા દિવસથી ચાલતા પ્રસાદના વિવાદનો આખરે અંત આવ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદમાં ભક્તોની આસ્થાનો વિજય થયો છે. છેવટે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે અંબાજી મોહનથાળ પ્રસાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.
Advertisement
Advertisement
મોહનથાળ અને ચિક્કી બન્ને પ્રસાદ ચાલુ રહેશે
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાના મુદ્દે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મંદિરના પૂજારીઓ પણ ઉપસ્થિત હતા. બેઠકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સરકારે જાહેરાત કરતાં કહ્યું કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવશે. તેની સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલુ રખાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણય મુજબ અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચિક્કી બન્ને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે.
શું હતો સમગ્ર વિવાદ?
પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં ગઈ 4 માર્ચથી મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરી દેવાયું હતું. તેને સ્થાને ચિક્કીનું પ્રસાદ તરીકે વિતરણ કરાતું હતું. જોકે, પ્રસાદ તરીકે મોહનથાળને જ કાયમ રાખવાની માગ સાથે રાજ્યમાં વિવિધ સ્થળોએ દેખાવો શરૂ થયાં હતા. વિશ્વ હિન્દુ પરિષદ પણ આ અંગેના આંદોલનમાં જોડાયું હતું. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણાં યોજીને ચિક્કીના પ્રસાદનો વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર અંબાજી શહેરમાં પ્રસાદ તરીકે મોહનથાળ ફરી શરૂ કરવામાં આવે તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.
દાંતા રાજવી પરિવારે પણ કરી હતી માંગ
પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ જ રાખવા માટે સ્થાનિકો અને પૂજારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. વિધાનસભા સત્ર દરમિયાન પણ અંબાજી મંદિર મોહનથાળનો મુદ્દો ઉછળ્યો હતો. વિપક્ષ દ્વારા મંદિરમાં ફરી મોહનથાળ શરૂ કરવાની માંગ કરી હતી. અંબાજી મંદિરના પૂર્વ ટ્રસ્ટી અને દાંતા રાજવી પરિવારના પરમવીરસિંહે પણ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. તેમણે આ અંગે હાઈકોર્ટ સમક્ષ જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
Advertisement