ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે ત્યારે તમામ પક્ષમાં ખેચતાણ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીમાં મુખ્યમંત્રીનો ચહેરો ના બનાવવામાં આવતા પક્ષ છોડીને કોંગ્રેસમાં આવેલા ઇંદ્રનીલ રાજ્યગુરૂએ મોટો ધડાકો કર્યો છે. ઇંદ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, આમ આદમી પાર્ટીમાં કમલમાંથી નક્કી થયેલા ઉમેદવારોનું લિસ્ટ આવે છે. આમ આદમી પાર્ટીમાં ફાઇનલ નામ કમલમમાંથી નક્કી થાય છે.
Advertisement
Advertisement
ઇંદ્રનીલ રાજ્યગુરૂના ગંભીર આક્ષેપ
ઇંદ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં જોડાયા બાદ પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇંદ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી કમલમમાંથી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ નક્કી કરે છે.
વધુમાં ઇંદ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, મારા કોંગ્રેસમાં જોડાયા પછી AAPએ આરોપ લગાવ્યો કે હું મુખ્યમંત્રીનો ચહેરો બનવા માંગુ છુ અને 15 લોકો માટે ટિકિટ માંગી રહ્યો છું. હકીકત તો આ છે કે મે જોયુ છે કે કોંગ્રેસને હરાવવા માટે તેઓએ ભાજપ સાથે સેટિંગ કર્યુ છે. કમલમ તરફથી ટિકિટ સેટિંગનો મેસેજ આવે છે. ઇંદ્રનીલ રાજ્યગુરૂએ વધુમાં આક્ષેપ કરતા કહ્યુ કે, પ્રાઇવેટ પ્લેનમાં રૂપિયા ગુજરાત આવે છે. આમ આદમી પાર્ટીને મળતા ફંડની તપાસ થવી જોઇએ.
પવન ખેડાએ પણ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા હતા. પવન ખેડાએ કહ્યુ કે, દિલ્હીથી જીત્યા તો બીજા પૈસા પંજાબમાં લગાવ્યા અને પંજાબમાં જીત્યા એટલે બચેલા પૈસા ગુજરાતમાં લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી કમલમમાંથી આવે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ કહ્યુ કે, જો પ્રાઇવેટ પ્લેનમાં રૂપિયા ગુજરાત આવી રહ્યા છે તો રૂપિયા આવવાનો રસ્તો કોણ આપી રહ્યુ છે?
ઇંદ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે જ્યારે બે મુખ્યમંત્રી (કેજરીવાલ અને ભગવંત માન) રાજકોટ આવે છે ત્યારે પ્રાઇવેટ પ્લેનમાં પૈસા આવે છે અને તેને લાવવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે, તેને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા અટકાવવામાં આવતા નથી. મારી પાસેથી પણ પૈસા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી પાસે મોટા પ્રમાણમાં ફંડ આવી રહ્યુ છે, એટલા બધા રૂપિયા હતા કે મે મારી આંખે જોયુ છે. આપમાં ભ્રષ્ટાચાર નથી તો આટલા રૂપિયા ક્યાથી આવે છે? જેનો કોઇ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, પોરબંદરથી અર્જૂન મોઢવાડિયાને ટિકિટ
AAPએ 139 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10 યાદી જાહેર કરી છે. આ 10 યાદીમાંથી 182 બેઠકમાંથી 139 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. AAPએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો છે.
Advertisement