દિલ્હી: મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન પરેડ કરાવવાના મામલા બાદ વિપક્ષ મોદી સરકારને સડકથી લઈને સંસદ સુધી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે આ મુદ્દે બંને ગૃહોમાં હોબાળો શરૂ કર્યો હતો, જેના કારણે પહેલા લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી છે.
Advertisement
Advertisement
કોંગ્રેસના સાંસદે પ્રસ્તાવ રજૂ કર્યો
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર સંસદમાં ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોઈ મુદ્દા પર ધ્યાન દોરવા અને જાહેર હિતના મુદ્દા પર તાત્કાલિક ચર્ચા કરવા માટે આ દરખાસ્ત લાવવામાં આવે છે. આ પ્રસ્તાવ રજૂ કરવા માટે સંસદના 50 સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે.
રાજકીય નિવેદનબાજી ઉગ્ર બની
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ બાબતે કહ્યું કે મણિપુરમાં બે મહિલાઓ સાથે જે પ્રકારનું વર્તન અને અત્યાચાર થયો તેની વડાપ્રધાને આકરી નિંદા કરી છે અને કડક શબ્દોમાં કહ્યું છે કે તે ગમે તેટલા હોય અને કોઈપણ હોય, તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ કમનસીબી એ છે કે વિરોધ પક્ષો તેને રાજકારણ તરીકે જુએ છે, તેઓ રાજનીતિ કરવા માંગે છે. અમે ગૃહમાં કહ્યું છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ પરંતુ વિપક્ષ ચર્ચાથી દૂર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બીજી તરફ, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ આ મામલે કહ્યું કે, ગૃહ શરૂ થયા બાદ ગૃહના નેતાઓ બહાર ઉભા રહીને નિવેદનો આપે અને તે પણ મણિપુર જેવા મુદ્દાઓ પર તો તે મને ખૂબ જ વિચિત્ર લાગે છે. જે વાત ગૃહની અંદર રજૂ કરવી જોઈએ, તે વાત તેઓ ગૃહની બહાર રજૂ કરી રહ્યા છે. મણિપુર સળગી રહ્યું છે, આમતેમની વાતો ન કરવી જોઈએ. એક કહેવત છે કે અહીં-તહીંની વાત ન કરો, કહો કે કાફલો કેમ લૂંટાયો, શું મણિપુર જેવી હાલત દેશના કોઈ અન્ય રાજ્યમાં છે?
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પણ આ ઘટના વિશે મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ભાજપે મણિપુરમાં માનવતાના બદલે હેવાનિયત સર્જી છે. આનો સંપૂર્ણ દોષ પીએમ મોદીને જાય છે. રાહુલ ગાંધીએ ત્યાં જઈને લોકોને પ્રેમનો સંદેશો આપ્યો હતો, પરંતુ ત્યાં ભાજપની સરકાર છે અને તેમણે માનવતાની જગ્યાએ હેવાનિયતનું સર્જન કર્યું છે. અમે માંગ કરીશું કે નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જોઈએ કારણ કે જ્યારે મણિપુર સળગી રહ્યું હતું ત્યારે તેઓ તેના પર કંઈ બોલવા તૈયાર ન હતા અને બહાર ફરતા હતા.
Advertisement