ભરુચ જિલ્લામાં વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલા કચ્છીપુરા ગામની સીમમાં કેમિકલયુક્ત પાણીથી આશરે 25 થી વધુ ઊંટ મોતને ભેટયા હોવાની વિગતો સામે આવતાં પશુપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર પંથકમાં આ ઘટનાએ ગંભીર પ્રત્યાઘાત પાડયા છે. ઉપરાંત કેટલાક ઊંટની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
રવિવારના બનાવ બાદ બીજા દિવસે તંત્ર ઘટના સ્થળ પર પહોંચ્યું, પશુપાલકના માથે આભ તૂટયું છે. કચ્છીપુરામાં ઊંટ રાખીને જીવન નિર્વાહ કરતા માલધારીઓ 40થી વધુ ઊંટ લઈને ચરાવવા માટે ચાંચવેલ ગામના ભાઠા વગામાં ગયા હતા. બે દિવસથી તરસ્યા ઊંટોને બે પશુપાલકો પાણી પીવડાવવા ચાંચવેલ ગામના તળાવ લઈ જતા હતા ત્યારે રસ્તામાં કેમિકલવાળું પાણી પી લેતા 25 જેટલા ઊંટના ટપોટપ મોત થયા, કેટલાક ઊંટને કેમિકલવાળું પાણી પીતા અટકાવતા બચી ગયા હતા.
બનાવ અંગે ઊંટના માલિકે જણાવ્યું હતું કે તેઓ પોતાના ઊંટોને લઈને ચાંચવેલ ગામ તળાવ ખાતે પાણી પીવડાવવા માટે જઈ રહ્યા હતાં. તે સમયે ગામની સીમમાં ખૂલ્લામાં કેમિકલ ઢોળાયેલું હતું. કેમિકલવાળું પાણી પીવાથી તેમજ કેમિકલવાળા પાણીમાં અળોટવાથી કેટલાક ઊંટ તરફડીયા ખાવા લાગ્યા હતાં. આ બાબતે તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. પરંતુ તંત્રના કોઈ અધિકારી ગામમાં પહોંચ્યા નથી.
આ બનાવ અંગે સરપંચે જણાવ્યું હતું કે, બનાવની જાણ સાંજે થઈ હતી પરંતુ ચોક્કસ સ્થળની જાણકારીના હોઈ તંત્રને જાણ નહોતી કરી. તપાસ કર્યા બાદ મામલતદારને જાણ કરાતા તંત્ર દોડતું થયું હતું.
Advertisement