પોરબંદરના હઝૂર પેલેસની શતાબ્દિની ઉજવણી નિમિત્તે હેરિટેજ વોકનું આયોજન કરાયું છે. ઘુઘવતા સમુદ્રના કિનારે મહારાણા નટવરસિંહજી દ્વારા ૧૦૦ વર્ષ પહેલાં નિર્માણ કરાયું હતું. ૧૪મી મેએ શીતલા ચોકમાં આવેલા દરબારગઢથી પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા હેરિટેજ વોક યોજાશે. મહેલને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા મહેલને રોશનીના અનેરો શણગાર કરાશે.
પોરબંદરના મહારાણા નટવરસિંહજી દ્વારા નિર્માણ કરવામાં આવેલા રાજમહેલને ૧૦૦ વર્ષ થયા છે. પોરબંદરની પ્રજાને તેના પ્રિય તેવા મહારાણાની સાથે જોડી રાખનાર જગ્યા, ઇમારત અને ઇતિહાસ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અખૂટ સ્ત્રોત તેવા હઝૂર પેલેસનું નિર્માણ મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાજભવન મહારાણાની આગવી સુઝબુઝ અને પારખું દ્રષ્ટિના ઉત્તમ નમૂના સ્વરૃપ છે.
આ ભવ્ય રાજમહેલ પેલેસની કીર્તિ અને સમૃધ્ધિ અખંડ રહે તે માટે ૧૧-૫-૧૯૨૩ના રોજ વાસ્તુનું શુભમુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના રાજવીઓ, શુભેચ્છકો, ભાયાતો અને પરિવારને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સમગ્ર પોરબંદર પંથકમાં ખુશાલીનો માહોલ સર્જાયો હતો. આ ઐતિહાસિક કંકોત્રી, નિમંત્રણ પત્રિકાનો સંગ્રહ જૂનાગઢના પ્રખ્યાત ઇતિહાસવિદ ડો. પ્રદ્યુમન ખાચરે કર્યો છે.
આ નવનિર્મિત હઝૂર પેલેસની ખુબીઓ તેની વિશાળતા જેવી જ છે. પોરબંદરના મહારાણા અને મહારાણી દ્વારા એક-એક બાબતોની બારિકી સાથે આ રાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રાજમહેલના પ્રત્યેક ઓરડાઓ વિશેષ વિશિષ્ટતા અને વિવિધતા ધરાવતા હતા. આ રાજમહેલમાં ૩ લેયરમાં ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ રાજમહેલનો ઉલ્લેખ ભારત વર્ષના ભવ્ય પેલેસોમાં કરવામાં આવે છે.
આ રાજમહેલના શતાબ્દીના પ્રસંગ પર રાજવી પરિવારના મહારાજ કુમાર હરેન્દ્રકુમારના માર્ગદર્શન હેઠળ રાજમહેલ રોશનીથી શણગારવામાં આવશે અને પોરબંદરના ઐતિહાસિક વારસાની જાળવણી માટે કાર્યરત પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા પોરબંદરમાં ૧૪ મેના રોજ એર હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement