નવી દિલ્હીઃ સંસદના બજેટસત્રનો બીજો તબક્કો ગઈકાલથી શરૂ થઈ ગયો છે. સત્રનો બીજો તબક્કો આગામી 6 એપ્રિલ સુધી ચાલશે અને તે દરમિયાન 17 બેઠકો યોજાશે. બન્ને ગૃહમાં ગઈકાલથી હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપાના નેતાઓ સામ સામે આવી ગયા છે. બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ અદાણી વિવાદ અંગે કેન્દ્ર સરકારના વિરોધમાં સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ દેખાવો યોજ્યા હતા. ભારે હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. બપોરે ફરીથી ગૃહ મળ્યું ત્યારે ફરી હોબાળાને લીધે બન્ને ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
Advertisement
Advertisement
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્રની મોદી સરકાર પર આરોપ મૂકતાં કહ્યું કે ખુદ સરકાર જ ગૃહ ચલાવવા માગતી નથી. સરકારના પ્રધાનોએ ગૃહની કાર્યવાહી ઠપ કરવા માટે ગૃહમાં કેવી રીતે હોબાળો મચાવ્યો હતો તેવા દ્રશ્યો અગાઉ કદી જોયા નથી. રાહુલ ગાંધી શા માટે માફી માગે ? તેમણે શું ગુનો કર્યો છે ? માફી તો આ લોકોએ માગવી જોઈએ.
આ મામલે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં કોણે સરમુખત્યારશાહી કરી ? તેમના પક્ષમાં કેવી રીતની તાનાશાહી ચાલી રહી છે ? ખડગેજી સાથે કેવો વ્યવહાર થાયછે તે બધા જાણે છે. રાહુલ ગાંધી અને તેમની ડ્રામા કંપનીને લાગે છે કે તેઓ દેશમાં શાસન કરવા માટે પેદા થયા છે અને તે તેમની તાનાશાહી દર્શાવે છે. તેમણે કહ્યું કે ગૃહમાં તેમનું માઈક બંધ કરી દેવાયું હતું અને તેમણે બહારના દેશોેને ભારતના મામલામાં દરમિયાનગીરી કરવા માટે કહ્યું. તેથી રાહુલ ગાંધી માફી માગે તેમ અમે ઈચ્છીએ છીએ.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની બ્રિટન મુલાકાત અગાઉથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ભાજપા નેતાઓ ભારત સરકાર અને આરએસએસ અંગેના રાહુલ ગાંધીના નિવેદનોનો વિરોધ કરી રહ્યા છે. હવે તેમના નિવેદનોની અસર સંસદના બજેટ સત્રમાં પણ જોવા મળી રહી છે. ભારે હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. બપોરે ફરીથી ગૃહ મળ્યું ત્યારે ફરી હોબાળાને લીધે બન્ને ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
Advertisement