યાત્રાધામ અંબાજી ખાતે નવ દિવસ થઈ ગયા હોવા છતાં મોહનથાળ પ્રસાદના મામલાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે અંબાજી ખાતે મોટી સંખ્યામાં આવતા માઇ ભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં 500 વર્ષ કરતા પણ વધુ સમયથી માતાજીને પરંપરાગત ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા વિવિધ સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં ધરણાં દેખાવો કરવામાં આવ્યા હતા. VHPએ 12મી માર્ચને રવિવારે રાજ્યના તમામ માતાજીના મંદિરોએ સ્તુતિ કરી મોહનથાળ પ્રસાદ વહેંચવાનો પણ નિર્ણય કર્યો છે.
Advertisement
Advertisement
અંબાજી મંદિરના વહીવટીકર્તા અને અધિકારીઓ સામે લાખો લોકોની આસ્થા સાથે ચેડા કરવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ કરાયો છે. માઈભક્તો અને વિવિધ સંગઠનો દ્વારા રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરની સામે ખોડીયાર ચોક પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોલ મારી અંબેના નારા સાથે મોહનથાળ પ્રસાદના સમર્થનમાં કાર્યકરોએ તેમનો વિરોધ દર્શાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાદેશિક મંત્રીના નેતૃત્વમાં ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં હાથમાં મોહનથાળ પ્રસાદના સમર્થન વિશેના બેનરો સાથે ખોડીયાર ચોક પર એકત્ર થયા હતા અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગણી કરી હતી.
અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ આપવાના નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા નેતા, પક્ષો સહિતના લોકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને ચિક્કીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય પરત લેવા તેમજ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા છે.,
Advertisement