ગાંધીનગરઃ ગઈ 23 ફેબ્રુઆરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક 2023 રજૂ કર્યું હતું. ગૃહમાં આ વિધેયક સર્વસંમતિથી પસાર થયું હતું. પાછળથી તેને મંજૂરી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મોકલી અપાયું હતું. રાજ્યપાલે તેના પર મંજૂરીની મહોર લગાવી દેતાં હવે તે કાયદો બની ગયું છે. સરકારી ગેઝેટ સાથે કાયદાની અમલવારી શરૂ થશે અને હવે યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ માટે આ નવો કાયદો લાગુ થશે.
Advertisement
Advertisement
વિધેયકમાં અગાઉ ધો.10 અને 12ની પરીક્ષાઓ પણ હતી
રાજ્ય સરકારે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓને અટકાવવા માટે આ વિધેયક રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે આ વિધેયકમાં 23 અલગ-અલગ જોગવાઈઓનો સમાવેશ કર્યો છે. આ અગાઉ આ વિધેયક હેઠળ ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવતી ધો.10 અને 12ની પરીક્ષાઓને પણ આવરી લેવાઈ હતી. પરંતુ વિધેયકને વિધાનસભામાં પસાર કરતા પહેલા તેમાં સુધારો કરાયો હતો અને શૈક્ષણિક બોર્ડને આ જોગવાઈઓની બહાર કરી દેવાયા હતા.
પેપરલીક કરનારને કેવી સજાની જોગવાઈ
પેપર ખરીદનારા વિદ્યાર્થીને 3 વર્ષની કેદ અને રૂ. 1 લાખનો દંડ થશે. પરીક્ષા પ્રક્રિયામાં સામેલ લોકો પેપર લીક કરતા પકડાય તો તેમને 5 વર્ષની કેદ અને રૂ. 1 લાખનો દંડ થશે. પરીક્ષા સાથે જેને કોઈ લેવા-દેવા નથી અને જે લોકો પ્રક્રિયાનો હિસ્સો ન હોય તેવા લોકો પેપર લીક કરતા પકડાય તો તેમને 7 વર્ષની કેદ અને રૂ. 1 કરોડ સુધીના દંડની આ કાયદા હેઠળ જોગવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવી સરકારની રચના થઈ તેના થોડાં દિવસોમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. જેને લીધે સરકારે 9.53 લાખ ઉમેદવારોની નારાજગી સહન કરવી પડી હતી.
રાજ્ય સરકારના બે મહત્ત્વના નિર્ણય
ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે રાજ્યસરકારે બે મહત્ત્વના પગલાં લીધાં છે. આઈપીએસ હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ નીમવામાં આવ્યા છે અને બીજું રાજ્ય સરકારે પેપર લીક કરનારાઓ વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો છે.
Advertisement