તુંવર મુજાહિદ, ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાતમાં અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની (ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન) એન્ટ્રીથી કોંગ્રેસને નુકશાન થશે તેવું સ્પષ્ટ દેખાય છે. પરંતુ શું AIMIMને કોઈ ફાયદો થશે ખરો? શું AIMIM પોતાને ગુજરાતના રાજકારણમાં સ્થાપિત કરી શકશે. એક-બે સીટ જીતીને AIMIM ગુજરાતના મુસ્લિમોની સમસ્યાઓને દૂર કરી શકશે? આ તમામ પ્રશ્ન સામે આવે તે પહેલા જ એક પ્રશ્ન મુસ્લિમો સામે આવી જાય છે. AIMIM તો માત્ર બીજેપીની બી ટીમ છે. આ આરોપ કોંગ્રેસ તરફથી સતત લગાવવામાં આવી રહ્યાં છે. તેથી મુસ્લિમ મતદાતાઓ પણ મુંઝવણમાં મૂકાઇ જાય છે. જોકે, અનેક વખત AIMIMએ પોતાને સાબિત કરી છે. તેથી કોંગ્રેસને ડર લાગે તે સ્વભાવિક છે. તો બીજી તરફ બીજેપી ખુશ થાય તે પણ ખોટું નથી.
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભાની 2022 ચૂંટણીનાં અઢી વર્ષ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં અસદ્દુદ્દીન ઓવૈસીની AIMIM એન્ટ્રી અને ત્યાર બાદ આવેલાં પરિણામોએ ગુજરાતીઓને ચોંકાવી દીધા હતા. 2017ની ચૂંટણીમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી કુલ 47 બેઠકો પૈકી કોંગ્રેસને 25 બેઠકો મળી હતી, પરંતુ એ પૈકી 12 બેઠકો પર માર્જિન ત્રણ હજાર મતથી પણ ઓછું હતું. જેથી AIMIMની હાજરી કોંગ્રેસ માટે ભયજનક બની શકે છે. આવી બેઠકો પર મુસ્લિમ મતદારો જો કોંગ્રેસ અને AIMIM વચ્ચે વહેંચાઈ જશે તો ભાજપની જીત આસાન થઇ શકે છે. ગુજરાતમાં ઓવૈસી ફેક્ટર કોંગ્રેસને નુકશાન કરશે કે પછી તેને રિપ્લેશ જ કરી દેશે તે તો સમય જ બતાવશે.
AIMIM સિવાય આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ગુજરાત ચૂંટણીના સમીકરણો બદલી નાંખ્યા છે. તો AIMIM કોંગ્રેસના જીતના સમીકરણ બદલી શકે છે. રાજકારણમાં પેઠ બનાવવા માટે કોઈપણ રાજકીય પક્ષ પોતાની બધી જ શક્તિ લગાડી દેતી હોય છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે AIMIMની કામગીરીને લઇને એવું કંઇ જ દેખાઇ રહ્યું નથી. તેથી તે ગુજરાતમાં પોતાને સ્થાપિત કરી શકશે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ ચિન્હ યથાવત છે. આ પ્રશ્નાર્થ ચિન્હ કોંગ્રેસને નુકશાન પહોંચાડી શકે છે. AIMIMના ઉમેદવારને જેટલા વધારે વોટ તેટલું કોંગ્રેસને નુકશાન પહોંચશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી.
એક જગ્યાએ એવું પણ સમીકરણ બની રહ્યું છે કે AIMIM કોંગ્રેસ જ નહીં પરંતુ આપને પણ 440 વોટનો ઝટકો આપી શકે છે. ઇસુદાન ગઢવી જ્યાંથી ચૂંટણી લડે છે તે ખંભાળિયા સીટને પણ ઔવેસીનો ઉમેદવાર નુકશાન પહોંચાડી શકે છે. આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો જ AIMIMના કારણે હારી જાય તો ઝટકો લાગે તે સ્વભાવિક છે. તે ઉપરાંત કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીના મતક્ષેત્ર એવા વડગામ વિધાનસભા સીટનાં પરિણામોના સમીકરણ પણ ખરાબ કરી શકે છે. તે ઉપરાંત સુરતની લિંબાયત સીટ પર પણ AIMIMના ઉમેદવારને ઉતારવામાં આવ્યો છે, જે ભાજપનાં ધારાસભ્ય સંગીતા માટે માટે પડકારરૂપ બની શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM 14 બેઠક પર ચૂંટણી લડવા જઇ રહી છે, જેમાંની 8 બેઠક કોંગ્રેસ અને 6 બેઠક ભાજપ પાસે છે. સ્વભાવિક રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે, AIMIMની ચૂંટણીથી કોંગ્રેસને જ નુકશાન થવાનું છે. જોકે, અહીં એક તથ્યને નોંધવું જરૂરી છે કે, આમ આદમી પાર્ટી નુકશાનને ભરપાઇ કરી શકે છે. કેમ કે આપને મળી રહેલા સારા પ્રતિસાદને નજર અંદાજ કરી શકાય નહીં. પરંતુ તે આપ પોતે પણ કોંગ્રેસને નુકશાન પહોંચાડી શકે છે, તે વાતને પણ ભૂલવી જોઇએ નહીં. 2022 વિધાનસભાની ચૂંટણી રોમાંચક બનશે તેમાં કોઇ જ શંકાને સ્થાન નથી.
અમદાવાદની બેઠકો પર AIMIM જાદૂ કરી શકશે?
AIMIMની વાત કરીએ તો સ્વભાવિક છે કે તે મુસ્લિમ અને દલીત સમુદાયની વધારે વસ્તી હશે ત્યાથી જ ચૂંટણી લડશે. ઔવેસી અમદાવાદની પાંચ બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જમાલપુર વિધાનસભા બેઠક પરથી AIMIMના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા અને દાણીલીમડા સીટ પર કૌશિકા પરમાર મજબૂત ઉમેદવાર છે. તેઓ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને સીધી ટક્કર આપશે.
દરિયાપુર બેઠક પર મુસ્લિમ સમાજ કરતાં હિન્દુ સમાજના પણ મતો વધુ છે, જેથી ત્યાં AIMIM માટે રસ્તો અઘરો બની ગયો છે. બાપુનગરમાં મુસ્લિમ મતદારો અને દલિત સમાજના મતદારો પણ વધુ છે, જેથી આ બેઠક પર AIMIM કોંગ્રેસને નુકસાન કરી શકે છે. વેજલપુર બેઠક પર પણ મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે, જેથી ત્યાં પણ કોંગ્રેસ અને ભાજપની AIMIM સામે ટક્કર થઈ શકે છે. .
AIMIM બીજેપીને નહીં પરંતુ કોંગ્રેસને ચોક્કસ રીતે હરાવી શકે છે. જો આમ આદમી પાર્ટી બીજેપીના સમીકરણ બગાડે અને કોંગ્રેસના મતદાતાઓ તેનો સાથ છોડી દે તો ગુજરાતમાં AIMIM બેઠક મેળવી શકે છે. જોકે, તેનાથી મુસ્લિમ સમાજને કેટલો ફાયદો થશે તે કહેવું ખુબ જ અઘરૂ છે. કેમ કે, અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં વર્ષોથી મુસ્લિમ પ્રતિનિધિઓ ચૂંટાઇને આવ્યા છે પરંતુ તે વિસ્તારમાં રહેલા મુસ્લિમોના જીવન ધોરણને ઉંચા લાવવા માટે અત્યાર સુધી પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા નથી.
સાબિર કાબલીવાલાએ પણ દુ:ખ વ્યક્ત કરતાં મીડિયાને જણાવ્યું હતુ કે, મુસ્લિમ સમાજ દ્વારા અત્યાર સુધીને કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસે મુસ્લિમો માટે કંઈ જ કર્યું નથી. હવે AIMIM આવી હોવાથી મુસ્લિમ જાગ્રત થઈ ગયા છે, અને AIMIM તરફ વળ્યા છે.
જોકે, અહીં તે વાત નોંધવી પડશે કે, મુસ્લિમ વિસ્તારમાં કોંગ્રેસ તરફથી તેમનું પ્રતિનિધિત્વ કરનાર પણ મુસ્લિમ લીડર જ રહ્યાં છે. તેથી અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં રહેલા મુસ્લિમો વિશે કોંગ્રેસે કંઇ કર્યું છે કે નહીં તેનો દોષનો ટોપલો સીધો કોંગ્રેસ પર ઢોળવાની જગ્યાએ તેમના પ્રતિનિધિત્વો ઉપર પણ ઢોળવું જોઈએ.
દરિયાપુર વિધાનસભા સીટ પર ગ્યાસુદ્દીનની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે આ સીટ પર 40% મુસ્લિમ અને 60 ટકા હિન્દૂ વોટ છે. AIMIM તરફથી હસન ખાન પઠાણ નામના વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. જો AIMIMનો ઉમેદવાર મુસ્લિમોના વોટ તોડવામાં સફળ થાય છે, તો ગ્યાસુદ્દીનની મુશ્કેલીઓ વધી શકે છે.
જણાવી દઇએ કે, દરિયાપુર વિધાનસભામાં કુલ 12 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર સૌથી વધારે લોકપ્રિય છે. જે કોગ્રેસ અને બીજેપી બંનેના વોટ તોડી શકે છે. જોકે, આ સીટ પર આમ આદમી પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારને (તાજમહંમદ કુરેશી) ટિકિટ આપી હોવાથી તે ખાસ કરીને ગ્યાસુદ્દીન માટે વધારે ખતરો બની શકે છે.
દરિયાપુર વિધાનસભા બેઠકના AIMIMના ઉમેદવાર એવા હસન ખાન પઠાણ દરિયાપુર વોર્ડમાં પાંચ ટર્મથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. 25 વર્ષ સુધી તેઓ કોર્પોરેટર રહ્યા હોવાથી મત વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે. પાર્કિંગના મોટાભાગના કોન્ટ્રાક્ટ તેઓના હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં AIMIMના કોર્પોરેશનના પ્રભારી પણ છે.
જમાલપુર ખાડિયામાં એક વખત ફરીથી ભૂષણ ભટ્ટ મારશે બાજી?
જમાલપુર-ખાડિયા વિધાનસભાના બેઠક પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને AIMIMના ઉમેદવાર સાબિર કાબલીવાલા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આ સીટ પર કોંગ્રેસને ખુબ જ ખરાબ રીતે AIMIM નુકશાન કરતી દેખાઇ રહી છે. 2007થી 2012 સુધી જમાલપુર ખાડિયાની બેઠક પર રહેલા ભૂષણ ભટ્ટને 2017માં ઇમરાન ખેડાવાલાએ માત આપી હતી. જોકે, આ વખતે સાબિર કાબરીવાલાના કોંગ્રેસના મત વહેંચાઇ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી એક વખત ફરીથી બીજેપી પોતાનો ગઢ મનાતી જમાલપુર ખાડિયા સીટને આંચકી શકે છે. જે માત્રને માત્ર AIMIMના ફેક્ટરના કારણે શક્ય બને તેવું લાગી રહ્યું છે.
AIMIMની એન્ટ્રી તો ગુજરાતમાં ઘણા સમય પહેલા જ થઇ ગઇ હતી
2021માં AIMIMને ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં સારી એવી સફળતા મળી હતી. ગોધરા, મોડાસા અને ભરૂચમાં ઓવૈસીએ પોતાના 25 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી 17 જીતી ગયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાની મ્યુનિસિપાલિટીમાં AIMIMના 12માંથી 9 ઉમેદવાર જીતી ગયા હતા. 36 સભ્યની આ મ્યુનિસિપાલિટીમાં ભાજપે 19 સીટ જીતીને સત્તા જાળવી રાખી હતી, પરંતુ ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસ કરતાં એક સીટ વધારે જીતીને તેને ત્રીજા નંબરે ધકેલી દીધી હતી. તેથી આ વિધાનસભાની ચૂંટણીમાં AIMIMને એવી આશા જાગી છે કે તેઓ કોંગ્રેસની સીટોને આંચકી શકે છે.
ગુજરાતના 3 જિલ્લા કચ્છ, ભરૂચ અને અમદાવાદ એવાં છે, જ્યાં મુસ્લિમ વસતિ નોંધપાત્ર છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 47 બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10થી 30 ટકા અને કેટલીક બેઠક પર એથી પણ વધારે છે. સ્વાભાવિક રીતે જ આ બેઠકો પર મુસ્લિમ મતદારો ચૂંટણી પરિણામમાં નિર્ણાયક બની શકે છે. ઓવૈસીની પાર્ટી આ બેઠકોને કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનું વિચારીને બેઠી છે. જોકે, ઔવેસીની ગણતરી સાચી ઠરે છે કે, પછી તે માત્ર કોંગ્રેસને નુકશાન કરીને બીજેપીને વોટમાં હવે મુસ્લિમ મતદારોની ટકાવારીના હિસાબે બેઠકોની સંખ્યા અને ગત ચૂંટણીનાં પરિણામો જોઈએ.
કઇ સીટો પર કોંગ્રેસના સમીકરણ બગડશે
10-15% મુસ્લિમ મતદારો ધરાવતી કુલ 26 બેઠકો છે, જેમાં વેજલપુર, દાણીલીમડા, ખંભાળિયા, માંગરોળ, દરિયાપુર,ખાડિયા-જમાલપુર, જેવી બેઠકોનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં આ 26 પૈકી 15 બેઠક ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે 11 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વખતે આપ-AIMIMએ નવી સમીકરણ ઉભા કર્યા છે.
15-20% મુસ્લિમ મતદારો ધરાવતી કુલ 11 બેઠકો છે, જેમાં ગીર-સોમનાથ અને દ્વારકા જેવી સૌરાષ્ટ્રની બેઠકો પણ સામેલ છે. આ 11 પૈકી ભાજપને 7 અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી. જેથી રાજકીય નિષ્ણાતો પણ વિચારવા માટે વિવશ થઇ ગયા હતા. કેમ કે આ વિસ્તારોમાં કોંગ્રેસને વધારે બેઠક જીતવાની આશા હતી. જોકે, કોંગ્રેસની નબળી કામગીરીના કારણે તેને મુસ્લિમ મતાદાતાઓએ પણ ફગાવી દીધી હતી.
20-25% મુસ્લિમ મતદારો ધરાવતી કુલ 7 બેઠક છે, જેમાં વાંકાનેર, સિદ્ધપુર બેઠકો સામેલ છે. આ 7 પૈકી ભાજપને 2 અને કોંગ્રેસને 5 બેઠક મળી હતી.
30%થી વધુ મુસ્લિમ મતદારોનું ઊંચું પ્રમાણ ધરાવતી કુલ 6 બેઠકો છે, જેમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, ભુજ, વાગરા, સુરત ઈસ્ટ વ. સામેલ છે. ગત ચૂંટણીમાં આ 6 પૈકી ભાજપ-કોંગ્રેસ બંનેને 3-3 મળી હતી. આ બેઠકો એવી છે, જેમાં ખરૂ રાજકારણ રમવામાં આવે છે.
Advertisement