ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 27 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ 182 બેઠકમાંથી 166 બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરની ટિકિટને લઇને ભાજપ અસમંજસમાં છે. રાધનપુર-ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ થતા હવે ભાજપ કઇ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને લડાવવો તેની વિચારણા કરી રહ્યુ છે. અલ્પેશ ઠાકોરના વિરોધને કારણે ભાજપે 6 બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી.
Advertisement
Advertisement
અલ્પેશ ઠાકોરને કલોલથી ટિકિટ આપવા માંગે છે ભાજપ
રાધનપુર-ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરની ચૂંટણી લડવાની વાતને લઇને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ભાજપ અલ્પેશ ઠાકોરને સેફ બેઠક કલોલ પરથી ટિકિટ આપવા માંગે છે. અલ્પેશ ઠાકોર જો કલોલથી ચૂંટણી લડે છે તો તેનો સામનો કોંગ્રેસના બળદેવજી ઠાકોર સામે થશે.
અલ્પેશ ઠાકોરની ટિકિટને પગલે ભારતીય જનતા પાર્ટીએ રાધનપુર, કલોલ અને ગાંધીનગર દક્ષિણ એમ ત્રણ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. આ ત્રણેય બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારને જ ચૂંટણીના મેદાનમાં ઉતારશે પણ અલ્પેશ ઠાકોર સહમત ના થતા કોકડું ગુંચવાયું છે. આ કોકડુ ઉકેલવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દિલ્હી પહોચ્યા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપની સ્થિતિ કફોડી; હાલથી જ 70 બેઠકો હાથમાંથી સરકતી દેખાઇ રહી છે
કલોલ અને ગાંધીનગર દક્ષિણ બન્ને બેઠકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવે છે. અલ્પેશ ઠાકોરની બેઠક નક્કી ના થતા ગાંધીનગર જિલ્લાની ચારેય બેઠક પરના સમીકરણ સતત બદલાઇ રહ્યા છે. દક્ષિણ બેઠક પર ઠાકોર સમાજને આપવાના સંજોગોમાં ગાંધીનગર ઉત્તર અને કલોલમાં પટેલ તેમજ માણસામાં ચૌધરી સમાજને ટિકિટ આપવાની ગણતરી હતી પરંતુ અલ્પેશ ઠાકોર જો કલોલમાં ચૂંટણી લડે તો ગાંધીનગર ઉત્તરની સાથે માણસામાં પણ પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે છે.
આ કારણોસર માણસાના હાલના દાવેદાર અમિત ચૌધરીને ખેરાલુથી લડવાની ઓફર પાર્ટીએ આપી હોવાનું જાણવા મળે છે. જોકે, અહી અર્બુદા સેનાનું પ્રમાણ વધારે હોવાથી અમિત ચૌધરી ખેરાલુ બેઠક પરથી લડવા માટે તૈયાર નથી.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement