બે તબક્કામાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તમામ સ્ટાર પ્રચારકો, નેતાઓ, ઉમેદવારો મતદારોને રિઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તો હજુ પણ દિગ્ગજ નેતાઓને ટિકિટ ન મળતા ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપના જ દિગ્ગજ નેતા ડૉ.જયનારાયણ વ્યાસે ભાજપને આડે હાથ લઈ કોંગ્રેસનો સાથ પકડી લીધો છે. એટલું જ નહીં ભાજપ છોડ્યા બાદ તેઓ પહેલીવાર કોંગ્રેસની બેઠકમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું હતું.
સિદ્ધપુરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠક તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપી ચુકેલા દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ જોવા મળ્યા હતા. આ દરમિયાન ડૉ.જયનારાયણ વ્યાસ 500 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવારને મોટી જીતથી જીતાડવા હાંકલ પણ કરી હતી. બેઠક દરમિયાન જયનારાયણ વ્યાસે કહ્યું કે, કોંગ્રેસ યુક્ત ભાજપ, કોંગ્રેસના 37 ધારાસભ્યો ભાજપમાં ગયા છે. આ દરમિયાન તેમણે સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને મોટી જીતથી જીતાડવા હાંકલ પણ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, જ્યારે જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારે ચર્ચાઓ ચાલતી હતી કે તેઓ કોંગ્રેસમાં જશે કે આપમાં ? જોકે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેમણે કોંગ્રેસના હાથ પકડી લીધો છે. દરમિયાન 29 ઓક્ટોબરના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ મળ્યા હતા. અને બંને નેતાઓ વચ્ચે સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે 45 મીનિટ સુધી ચર્ચા ચાલી હતી.
બીજા તબક્કાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠકનો સમાવેશ થાય છે. સિદ્ધપુર બેઠક પરથી ભાજપે બળવંતસિંહ રાજપૂતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે ચંદનજી ઠાકોરને સિદ્ધપુરની બેઠક પરથી ઉભા રાખ્યા છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો સિદ્ધપુર બેઠકપરથી AAPના ઉમેદવાર મહેન્દ્ર રાજપુત ચૂંટણી લડશે. સિદ્ધપુરની કુલ વસ્તી 271103 છે.
Advertisement