ગાંધીનગર: પાકિસ્તાન અને ભારત વચ્ચે દાયકાઓથી ચાલી રહેલો સરક્રીક વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ગુજરાતના સરક્રીક વિસ્તારમાં ભારત દ્વારા બનાવવામાં આવી રહેલી સરહદી ચોકીઓના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે આ સીમા રેખાને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત દ્વારા ચોકીઓનું નિર્માણ કરવું સંપૂર્ણપણે ખોટું છે. પાકિસ્તાનના આરોપનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતનું કહેવું છે કે બાંધકામ તેના ક્ષેત્રમાં થઈ રહ્યું છે અને તે પ્રદેશ સંપૂર્ણ રીતે ભારતનો છે. ચાલો જાણીએ શું છે સરક્રીક અને શા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે તેના પર વિવાદ છે?
Advertisement
Advertisement
શું છે સર ક્રીક?
સર ક્રીક ભારત અને પાકિસ્તાન વચ્ચેની 96 કિલોમીટર લાંબી પાણીની પટ્ટી છે. આ પ્રદેશ પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્યની વચ્ચે આવેલો છે. બંને દેશોની સ્વતંત્રતા પહેલા આ પ્રદેશ બ્રિટિશ ભારતના બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. આ વિસ્તારમાં ‘સિરી’ માછલીની હાજરીને કારણે તેને સરક્રીક નામ આપવામાં આવ્યું હતું. તેના પાણીના પ્રવાહને મૂળરૂપે ‘બાન ગંગા’ કહેવામાં આવે છે.
આ પ્રવાહ પાકિસ્તાનના સિંધ પ્રાંતને ભારતના ગુજરાતથી અલગ કરીને અરબી સમુદ્રમાં પડે છે. આ વિસ્તાર એશિયાના સૌથી મોટા માછલી ઉત્પાદન ક્ષેત્રોમાંનો એક છે. તેની મર્યાદા નક્કી ન કરવાને કારણે ઘણી વખત ભારતીય માછીમારો પાકિસ્તાનની સરહદે જાય છે, જ્યાં તેઓ પાકિસ્તાની નૌકાદળના જવાનો દ્વારા પકડાઈ જાય છે. ક્રીક વિસ્તાર દુર્ગમ વિસ્તાર છે અને ત્યાંનું હવામાન પણ પ્રતિકૂળ છે. ત્યાં ઝેરી સાપ અને વીંછી જોવા મળે છે. સત્તાવાર સૂત્રોએ કહ્યુ કે BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ખુલ્લા પગે ચાલવું પડે છે કારણ કે ભીના વિસ્તારોમાં શૂઝનો ઉપયોગ કરી શકાતો નથી.
સર ક્રીક વિવાદ વિશે જાણો
બન્ને દેશ વચ્ચે તેને લઇને વિવાદની શરૂઆત 1960ના દાયકામાં થઇ હતી. સર ક્રીક વિવાદને ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને સિયાચિન જેવા સરહદી વિવાદ તરીકે જોવામાં આવે છે. સરક્રીક ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત પાણીની એક 96 કિલોમીટર લાંબી પટ્ટી છે, જે ભારતના ગુજરાત અને પાકિસ્તાનના સિંધ વચ્ચે સ્થિત છે.
પાણીના ધોવાણને કારણે સરક્રીકની રચના થઈ છે અને અહીં ભરતીના કારણે તેનો કેટલો ભાગ પાણીમાં રહેશે અને કેટલો પાણીની બહાર રહેશે તે નક્કી કરી શકાતું નથી. આ પ્રદેશ તેલ અને ગેસના વિશાળ ભંડારનો સ્ત્રોત પણ છે. પરંતુ સીમાંકનના અભાવે તેનો ઉપયોગ કરી શકાતો નથી. પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા દાવા મુજબ, 1914માં તત્કાલીન સિંધ સરકાર અને કચ્છના રાવ મહારાજ વચ્ચે થયેલા ‘બોમ્બે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન’ મુજબ સમગ્ર ખાડી વિસ્તાર પર તેનો અધિકાર છે. બીજી તરફ, ભારતને આઝાદી મળી તે પહેલાં, આ ક્રીક પ્રાંતીય વિસ્તાર બ્રિટિશ ભારતના બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. 1947માં ભારતની આઝઆદી પછી સિંધ પાકિસ્તાનનો ભાગ બની ગયો જ્યારે કચ્છ ભારતનો જ ભાગ રહ્યો હતો.
BSFના જવાનો માટે સ્થાયી બંકર બનાવી રહ્યુ છે ભારત
ભારત પ્રથમ વખત ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સર ક્રીક અને હરામી નાલા વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો માટે કાયમી બંકરોનું નિર્માણ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો અને ફિશિંગ કરનારી બોટ દ્વારા ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને ભૂજ સેક્ટર સાથે આ વિસ્તારમાં 8 બહુમાળી બંકર કમ ઓબ્ઝર્વેશન પોસ્ટના નિર્માણ માટે રૂ.50 કરોડ મંજૂર કર્યા છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 4,050 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા સરક્રીક વિસ્તારમાં ત્રણ ટાવર બનાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ (CPWD) 900 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા હરામી નાલા વિસ્તારમાં પાંચ બાંધકામો બનાવી રહ્યું છે.
42 ફૂટ ઉંચા બંકર અને રડાર બનાવવામાં આવશે
42 ફીટ ઉંચા વર્ટિકલ બંકરના ઉપરના માળે વિસ્તાર પર નજર રાખવા માટે સર્વેલન્સ સાધનો અને રડાર માટે જગ્યા હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના બે માળમાં 15 સશસ્ત્ર BSF જવાનો માટે જગ્યા હશે અને સ્ટોરેજની જોગવાઇ હગશે. આ બંકરો ખાડી વિસ્તારના પૂર્વ ભાગમાં ભારતીય ક્ષેત્ર પર બનાવવામાં આવી રહ્યા છે. BSFના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ફોર્સની એક ટુકડની માર્ચ સુધીમાં સરક્રીક વિસ્તારમાં ત્રણ બંકરોનું બાંધકામ પૂર્ણ કરવા માટે કામ કરી રહેલા કામદારોને સુરક્ષા પુરી પાડી રહી છે.
Advertisement