અમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.
રાષ્ટ્રપતિ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન પણ કરવાના છે. રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા રાજભવન પહોચ્યા હતા. રાજભવનથી સાંજે પાંચ વાગ્યે મહાત્મા મંદિર પરિસરમાં પ્રદર્શન કક્ષમાં સેન્ટ્રલ યૂનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે બાદ રાષ્ટ્રપતિ પરત રાજભવન ફરશે અને રાત્રિ રોકાણ કરશે.
24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે અને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ નીહાળશે. તે બાદ રાષ્ટ્રપતિ સીધા અમદાવાદ એરપોર્ટ રવાના થશે અને ત્યાથી દિલ્હી જશે.
રાષ્ટ્રપતિના આગમનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાષ્ટ્રપતિના આગમનના પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 2 SP, 6 DYSP, 15 PI સહિત 400 પોલીસ કર્મચારી અધિકારીઓ ગાંધીનગર મહાત્મા મંદિર અને રાજ ભવન વચ્ચે સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવશે. સેન્ટ્રલ યૂનિવર્સિટીના પદવીદાન સમારંભની તૈયારીઓ કરવામાં આવી છે. સેન્ટ્રલ યૂનિવર્સિટીના 244 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે પદવી એનાયત કરવામાં આવશે.