અગરતલા: ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે 60 બેઠક પર મતદાન ચાલી રહ્યુ છે. આ વખતે વિવિધ પાર્ટીના કુલ 259 ઉમેદવાર પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે અને રાજ્યમાં સત્તા પર રહેલા ભાજપ ગઠબંધન અને કોંગ્રેસ-ડાબેરી ગઠબંધન સિવાય નવી રચાયેલી આદિવાસી પાર્ટી ટિપરા મોથા ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર 3 વાગ્યા સુધી 69.94 ટકા મતદાન થયુ છે.
Advertisement
Advertisement
ત્રિપુરાની 60 વિધાનસભા બેઠક પર મતદાન થઇ રહ્યુ છે. આ વખતે અલગ અલગ પાર્ટીના 259 ઉમેદવાર મેદાનમાં છે.
ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નોટિસ મોકલી
આચાર સંહિતા લાગુ થયા પછી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી પાર્ટીના પક્ષમાં મતદાન કરવાની અપીલને લઇને ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી છે.
રાજ્યમાં કુલ 3,337 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ચૂંટણીના પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે.
કઇ પાર્ટીના કેટલા ઉમેદવાર મેદાનમાં?
આ વખતે ચૂંટણીમાં ભાજપે 55, CPI (M)એ 43, કોંગ્રેસે 13, ટિપરા મોથાએ 42 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પણ અહી ચૂંટણી લડી રહી છે અને તેને 28 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. બીજી તરફ 58 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે.
મહિલાઓની વાત કરવામાં આવે તો ભાજપે 12, CPI(M) અને ટિપરા મોથાએ 2-2 અને તૃણમૂલે ત્રણ અને કોંગ્રેસે એક મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.
આ બેઠક પર રહેશે તમામની નજર
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા બોરદોવાલી બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમના વિરૂદ્ધ આશીષ કુમાર સાહાને મેદાનમાં ઉતાર્યા છે.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી જિષ્ણુદેવ વર્મા ચારીલમથી પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. ભાજપે કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકને ધનપુર બેઠક પરથી ઉતાર્યા છે.
CPI(M)ના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરી સબરૂમ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બિરાજિત સિન્હા કૈલાશહરથી ચૂંટણી લડી રહ્યા છે. સિન્હા વિરૂદ્ધ ભાજપે મોહમ્મદ મોબેશર અલીને ઉતાર્યા છે.
રાજ્યમાં 100 વર્ષથી વધારે 679 મતદાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિપુરાની અંતિમ મતદાર યાદીમાં 28,13,478 મતદાર છે. જેમાંથી 14,14,576 પુરૂષ, 13,98,825 મહિલા અને 77 કિન્નર મતદાર છે.
મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ ગીતેએ જણાવ્યુ કે રાજ્યમાં 100 વર્ષથી વધુ ઉંમરના 679 અને 80 વર્ષથી વધુ ઉંમરના 38,039 મતદાર છે. રાજ્યમાં 18-19 વર્ષના 65,000થી વધુ યુવા પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. હિંસાની આશંકાને જોતા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.
ત્રિપુરાના મહત્વના મુદ્દા શું છે?
ત્રિપુરા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા અને બેરોજગારી મુખ્ય મુદ્દામાં સામેલ છે. આ સિવાય તમામ પાર્ટી આદિવાસી સમાજના વોટ મેળવવા માટે તેમના માટે વિવિધ વિકાસ યોજનાઓની વાત કરી રહી છે.
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવી પણ એક મોટો મુદ્દો છે જ્યારે કોર્ટના આદેશ પર સસ્પેન્ડ થયેલા 10 હજારથી વધુ સરકારી શિક્ષક પોતાની ફરી નિયુક્તિની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશથી ઘુષણખોરી પણ મોટો મુદ્દો છે.
કઇ પાર્ટીનું પલડુ ભારે છે?
ત્રિપુરા ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થતા કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને ફાયદો થવાની આશા છે. ભાજપને સત્તા પરથી હટાવવા માટે કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે પ્રથમ વખત ગઠબંધન થયુ છે અને આ પહેલા બન્ને પક્ષ અહી હંમેશા એક બીજાના વિરોધી હતા. આ ગઠબંધનમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) મોટાભાગની બેઠક પર ચૂંટણી લડી રહી છે. ભાજપને પણ રેસની બહાર માનવામાં આવતી નથી અને તે પરિણામથી ચોકાવી શકે છે.
ગત ચૂંટણીમાં શું પરિણામ આવ્યા હતા?
ભાજપે 2018માં ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 43.59 ટકા વોટ સાથે 36 બેઠક જીતી હતી અને બિપ્લવકુમાર દેવને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
ડાબેરી ગઠબંધન 42.2 ટકા વોટ મેળવ્યા છતા માત્ર 16 બેઠક મેળવી શક્યુ હતુ. ઇંડિજિનસ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT)એ આઠ બેઠક જીતી હતી.
ભાજપે ગત વર્ષે મેમાં બિપ્લવ કુમાર દેવની જગ્યાએ માણિક સાહાને ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
Advertisement