હું 1998 થી ખેડૂતોને સિંચાઈની પર્યાપ્ત સુવિધા માટે માંગ કરતો આવ્યો છું, હું આજે ફરી એ માંગ મુકું છું: મનસુખ વસાવાની આદિવાસી સાંસદોની બેઠકમાં રજુઆત
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: દિલ્હી ખાતે સંસદમાં બન્ને ગૃહના આદિવાસી સાંસદો એક બેઠક યોજાઈ હતી.એ બેઠકમાં રાજ્ય અને દેશમાં વસતા વિવિધ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે મનોમંથન કરાયુ હતું સાથે સાથે આદિવાસીઓના વિકાસ માટે સાંસદોએ પોતાના મત રજૂ કર્યા હતા.એ બેઠકમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓ માટે સિંચાઈની સુવિધા અનિવાર્ય હોવાની રજુઆત કરી હતી.
દિલ્હી ખાતે આદિવાસી સાંસદોની ઉપસ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આદિવાસી પટ્ટી અને આદિવાસીઓના વિકાસ ઉપર મંથન કરવામાં આવ્યું હતું.જે માટે સંસદમાં બન્ને ગૃહના આદિવાસી સાંસદોની પ્રસ્તાવ અંગે બેઠક મળી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે જો આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો તેમને તાત્કાલિક સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ.આ અંગે સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતને પણ પત્ર લખી લેખિત મત વ્યક્ત કર્યો છે.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે દેશના આદિવાસીઓને નહેર કે ટ્યુબવેલ મારફતે સિંચાઈ સુવિધા મળી રહેતા તેઓ ખેતી, પશુપાલન કરી પોતાના વિકાસ સાથે દેશની ઉન્નતિમાં પણ ફાળો આપી શકશે.ચેકડેમ કે તળાવો મારફતે આદિવાસીઓ યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી.
જો નહેર અને ટ્યુબવેલનું નેટવર્ક ઉભું કરાઈ તો તેઓ સિંચાઈ સાથે ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ વિકસાવી શકે છે.આદિવાસી વિસ્તાર અને આદિવાસીઓનો આ થકી વિકાસ થતા તેઓ દેશની વિકાસ યાત્રામાં સહભાગી થઈ શકશે.હું 1998 થી ખેડૂતોને સિંચાઈની પર્યાપ્ત સુવિધા માટે માંગ કરતો આવ્યો છું, હું આજે ફરી એ માંગ મુકું છું.