ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની વિકેટો પડી રહી છે. તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડે રાજીનામું આપ્યુ છે. ભગાભાઇ બારડ 12.45 વાગ્યે ભાજપમાં જોડાશે. આ પહેલા મંગળવારે છોટા ઉદેપુરના કોંગ્રેસના ધારાસભ્ય મોહન સિંહ રાઠવાએ રાજીનામું આપ્યુ હતુ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
Advertisement
Advertisement
તાલાળા બેઠકનો ઇતિહાસ
તાલાળા ગીર વિસ્તાર છે અને અહીં આહિર તેમજ કારડિયા સમુદાયનું ભારે વર્ચસ્વ છે. બંને સમાજ છેલ્લાં કેટલાંક સમયથી રાજકીય બાબતોમાં ભારે જાગૃત બની ચૂક્યા હોવાથી તાલાળા માત્ર રાજકીય જ નહિ, સામાજિક અને ધાર્મિક ગતિવિધિનું કેન્દ્ર પણ બનતું રહ્યું છે. એ સિવાય પાટીદાર, દલિત, કોળી સમુદાય પણ નોંધપાત્ર સંખ્યા ધરાવે છે. આહિર અને કારડિયા સમાજના ઉમેદવારે જીતવા માટે આ સમીકરણો પણ સંતુલિત કરવા પડે છે. 1975 પછી ફક્ત બે ચૂંટણીને બાદ કરતાં આહિર અથવા કારડિયા સમાજના ઉમેદવારો જ અહીં વિજયી બનતાં રહે છે. જ્ઞાતિ પ્રભુત્વનો આ દબદબો પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પણ જોવા મળે છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
આહિર જ્ઞાતિના ભગવાનભાઈ બારડ ગત ચૂંટણીમાં આ બેઠક પરથી રેકોર્ડબ્રેક માર્જિનથી વિજયી થયા હતા. તાલાળા પંથકની ખાસિયતથી વિપરિત તેમણે આશરે 59%મત મેળવીને સપાટો બોલાવ્યો હતો. તેમની ચૂંટણી રદ કરવામાં આવી એ પછી ખાસ્સી કાનૂની લડાઈ લડીને તેઓ પેટાચૂંટણી ટાળવામાં સફળ રહ્યા હતા. તેમનાં સમર્થનમાં યોજાયેલ આહિર સમાજના સંમેલનોએ પણ તેમની તરફેણમાં સહાનુભૂતિનો જુવાળ ઊભો કર્યો હતો. આગામી ચૂંટણીમાં ભગાભાઈને તેનો ફાયદો થાય એવી પૂરી શક્યતા છે. આ વિસ્તાર પર પકડ ધરાવતા પૂર્વ ધારાસભ્ય જશુભાઈ બારડના તેઓ નાનાભાઈ છે એ બાબત પણ તેમના ફાયદામાં રહે છે. જોકે તાલાળા અને સૂત્રાપાડા પાલિકા તેમજ પંચાયતોની ચૂંટણીમાં ભાજપનું વાવાઝોડું એવું ફરી વળ્યું કે કોંગ્રેસના મોટાભાગના આંબા તેમાં જમીનદોસ્ત થઈ ચૂક્યા છે.
Advertisement