ગાંધીનગરઃ રાજ્ય સરકારે હાલ મુશ્કેલીનો સામનો કરી રહેલા ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડની સહાયની જાહેરાત કરાઈ છે. જ્યારે બટાકા પકવતા ખેડૂતો માટે રૂ.20 કરોડની સહાય જાહેર કરી છે. બીજી તરફ કૃષિમંત્રીએ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેતીમાં થયેલા નુકસાનનો રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવાની પણ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ડુંગળી પકવતા ખેડૂતો માટે રૂ. 70 કરોડની સહાય
તે મુજબ ડુંગળી પકવતા ખેડૂતોને એપીએમસીમાં ડુંગળીના વેચાણ પર એક કિલોએ 2 રૂપિયાની સહાય અપાશે. આ સહાય ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કટ્ટા (250 ક્વિન્ટલ)ની મર્યાદામાં અપાશે. આ માટે રૂ. 70 કરોડની સહાયની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, ડુંગળીના ટ્રાન્સપોર્ટેશન પર રૂ. 20 કરોડની સહાય જાહેર કરાઈ છે. આ માટે પ્રારંભિક તબક્કે 2 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી અન્ય રાજ્ય કે દેશ બહાર નિકાસ કરવા માટે અંદાજિત 20 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. જે મુજબ ખેડૂતો લાલ ડુંગળી અન્ય રાજ્યો કે દેશ બહાર નિકાસ માટે રોડ ટ્રાન્સ્પોર્ટથી કરે તો તેના ખર્ચ પેટે 750 રુપિયા પ્રતિ મેટ્રિક ટન અને રેલવે મારફતે કરે તો 1150 રુપિયા પ્રતિ મેટ્રિક ટન પ્રમાણે સહાય ચૂકવાશે.
બટાકા પકવતા ખેડૂતો માટે રૂ.20 કરોડની સહાય
જ્યારે બટાકાના ટ્રાન્સ્પોર્ટેશન માટે રૂ. 20 કરોડની સહાય જાહેર કરાઈ છે. ખેડૂતો રોડ ટ્રાન્સ્પોર્ટ દ્વારા કરે તો તેમને 750 રુપિયા પ્રતિ મેટ્રિક ટનની સહાય ચૂકવાશે. ખેડૂતો રેલવે મારફતે ટ્રાન્સ્પોર્ટેશન કરે તો 1150 રુપિયા પ્રતિ મેટ્રિક ટનની સહાય અપાશે. ખેડૂતો બટાકાની દેશ બહાર નિકાસ કરે તો ખર્ચના 25 ટકા અથવા 10 લાખની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે તેમને મળવાપાત્ર રહેશે
વધુમાં, ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરે તો પ્રતિ કિલો રુ.1 લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ 50 અને વધુમાં વધુ 600 કટ્ટા (300 ક્વિન્ટલ) ની મર્યાદામાં આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત, રાજ્યની એપીએમસીમાં બટાકા વેચનાર ખેડૂતને પણ સહાયની સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોને કટ્ટાદીઠ 50 રુપિયા એટલે કે એક કિલોદીઠ 1 રુપિયો અને વધુમાં વધુ 600 કટ્ટા(300 ક્વિન્ટલ) ની મર્યાદામાં આર્થિક સહાય અપાશે.
Advertisement