સિદ્ધપુરના ઐતિહાસિક રૂદ્ર મંદિર રુદ્ર મહાલય સંકૂલમાં રિનોવેશન કરવા માટે ભારત સરકારના પુરાતત્વ વિભાગ વડોદરા સ્થિત ઓફિસમાંથી દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા રૂ. 55 લાખ બજેટ ફાળવણી કરવામાં આવી છે. જેને પગલે ટૂંકમાં દુરસ્તી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2015/16માં થોડું ઘણું રિનોવેશન કરાયું હતું. પરંતુ તે અધૂરું હતું તેમ પાટણના આર્કિયોલોજી કન્ઝર્વેટર ઇમરાન મન્સૂરીએ જણાવ્યું હતું .
પૌરાણિક તીર્થ ક્ષેત્ર અને ઐતિહાસિક ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે આવેલ સમગ્ર ગુર્જરપ્રદેશની અસ્મિતાનું સિદ્ધક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પ્રતીક પ્રાચીન કાલીન શ્રી રુદ્ર મહાલય (શિવાલય) છેલ્લા ઘણા વર્ષોથી માનવીય અવર જવર માટે પ્રતિબંધિત છે. જેને લઇ સૌથી મોટા શિવાલય એવા રુદ્ર મહાલયના શ્રદ્ધાળુઓ નજીકથી દર્શન કરવા ઈચ્છી રહ્યા છે. તેમજ દર્શન કરવાની માંગણી કરી રહ્યા છે.
માહિતગાર સૂત્રોએ જણાવ્યું કે અત્યારે રુદ્ર મહાલય સંબંધી કાનૂની વિવાદનો અંત આવ્યો છે. જોકે સત્તાવાર રીતે કોઈ વિગતો જાણવા મળી રહી નથી. પરંતુ શિવરાત્રી પહેલાં પુરાતત્વ વિભાગ વડોદરા દ્વારા રુદ્ર મહાલયના તોરણ, મંદિર પરિસરની જર્જરિત થયેલી દીવાલોમાં રેત ચુનાનુ ચણતર અને પુરણ કરવું વરસાદી સિઝનમાં મંદિરની છત પરથી મંદિરમાં પાણી પડતું હોવાથી મંદિરની છત ઉપર વરસાદી પાણીનું લિંકેજ દુર કરવું, ફ્લોરિંગ તેમજ મંદિર પરીસરમાંથી તૂટી ગયેલા તેમજ કોતરણી વાળા પત્થરોને વ્યવસ્થિત ગોઠવી એક નાનકડું મ્યુઝિયમ જેવું બનાવી દર્શનીય બનાવવા માટે પુરાતત્વ વિભાગ વડોદરા દ્વારા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેને લઈ કેન્દ્રની સરકાર દ્વારા મંજૂરી મળી જતાં સિદ્ધપુરના રૂદ્ર મહાલય માટે રૂ. 55 લાખની ગ્રાન્ટ ફાળવાતા પાટણ આર્ક્યોલોજિસ્ટ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામા આવી રહી છે.