આણંદ: વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આસોસુદ પુનમના રોજ ભવ્ય શરદોત્સવ – રાસોત્સવની આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શરદપુનમની રાત્રે સંધ્યા આરતી બાદ ઠાકોરજીને પાલખીમાં પધરાવી મંદિરમાં વાજતે ગાજતે પાલખીયાત્રા નીકળી હતી. મંદિરના પાછળ આવેલ અક્ષરભુવન પાછળના ભાગે ઉભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. જ્યાં આચાર્ય મહારાજશ્રી તથા વરિષ્ઠ સંતોના હસ્તે ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા સંતોએ ઠાકોરજીની આરતી ઉતારી હતી. આ પ્રસંગે ચેરમેન દેવ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામી, ગોવિંદ સ્વામી, હરિવલ્લભ સ્વામી, હરિઓમ સ્વામી, શુકદેવ સ્વામી, શ્રીજી સ્વામી, સંતબાલ સ્વામી સહિત અન્ય સંતો પૂજાવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement
આ પ્રસંગે શાસ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી (સુરત અમરેલી) એ શરદોત્સવ મહિમા કથાનું રસપાન કરાવ્યું હતું. કથાબાદ શરદોત્સવના યજમાન ઘનશ્યામભાઈ શીવાભાઈ પટેલ (ખાંધલી), કમલેશ નટુભાઈ પટેલ (કરમસદ) યુ.એસ.એ., બળદેવભાઈ વિષ્ણુભાઈ પારેખે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ.આચાર્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા. જ્યારે શા.નૌતમપ્રકાશદાસજી તથા ચેરમેન દેવપ્રકાશ સ્વામી, હરિવલ્લભ સ્વામી વગેરેએ પ્રાસંગીત ઉદ્બોધન ક્યું હતું. હરિભક્તો માં પણ શૈલેષ સાવલિયા,જયેન્દ્રસિંહ જાદવ – સાહિત્ય અકાદમી, પ્રવિણભાઈ રાજકોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સંતો–હરિભક્તોએ રાષ્ટ્રગીતના ગાન બાદ બોલાવી રાસની રમઝટ
વડતાલ મંદિરના તૈયાર કરવામાં આવેલ શરદોત્સવ મંડપમાં આચાર્ય મહારાજશ્રી, વરિષ્ઠ સંતો તથા હરિભક્તોએ રાષ્ટ્રીગીતના ગાન સાથે રાસોત્સવ વગેરે રમઝટ બોલાવી હતી. સુરત કલાકુંજ ગુણાતીત યુવક મંડળ ધ્વારા શરદોત્સવ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ સહિત આજુબાજુના ગામોના હરિભક્તો, યુવકો, પાઠશાળાના વિદ્યાર્થી, સંતો-ભુદેવ બટુકો, વડતાલ બાળ મંડળના બાળકો રંગબેરંગી વસ્ત્રધારી યુવાનો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સત્સંગી બહેનોએ પણ અલગ અલગ રાસની ગરબાની રમઝટ બોલાવી હતી. રાસ ગરબાના અંતે ઉપસ્થિત હરિક્તોએ દુધ પૌઆનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ સ્વામીએ કર્યું હતું.
Advertisement