કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં સતત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. જો કે, એક પ્રસંગ એવો પણ આવ્યો જ્યારે તેમણે કેન્દ્ર સરકારની નીતિના વખાણ પણ કર્યા છે. રાહુલ ગાંધીએ રશિયા પર કેન્દ્ર સરકારના વલણનું સમર્થન કર્યું છે. રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. ત્યારથી પશ્ચિમી દેશો સતત તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે, ભારતે આ મુદ્દે અલગ વલણ અપનાવ્યું છે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ રશિયાના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિની પ્રશંસા કરી
રાહુલ ગાંધીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, ‘શું તમે રશિયાના મુદ્દે ભારતના તટસ્થ વલણને સમર્થન આપો છો?’ જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, ” રશિયા સાથે ભારતના સારા સંબંધો છે, ભારત અમુક અંશે રશિયા પર નિર્ભર છે. તેથી ભારત સરકારનું જે વલણ છે તેવું જ મારું વલણ રહેશે.”
યુક્રેન-રશિયા મુદ્દે ભારતનું વલણ, શાંતિપૂર્ણ વાતચીત જ સંકટનો એકમાત્ર ઉકેલ
તાજેતરના દિવસોમાં, યુક્રેનમાં રશિયાની કાર્યવાહીની ટીકા કરતા સંયુક્ત રાષ્ટ્રના તમામ ઠરાવોથી ભારત દૂર રહ્યું છે. ભારતનું કહેવું છે કે શાંતિપૂર્ણ વાતચીત જ સંકટનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો છે. જો કે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત સરકારે પોતાના હિતોનો વિચાર કરવો પડશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત ખૂબ મોટો દેશ છે. તેના સંબંધો અન્ય ઘણાં દેશો સાથે છે. ભારત એટલો નાનો દેશ નથી કે એક દેશ સાથે સંબંધ હોય અને બીજા સાથે ન હોય, તેમણે ઉમેર્યું, “આપણે હંમેશા આવા સંબંધો રાખીશું. આપણે કેટલાંક દેશો સાથે વધુ સારા સંબંધો રાખીશું અને અન્ય દેશો સાથે સંબંધો વિકસાવીશું જેથી સંતુલન જળવાઈ રહે.”
Advertisement