મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની આર્થિક રીતે નબળા વર્ગની છોકરીઓ માટે સમૂહ લગ્ન યોજના ત્યારે વિવાદમાં આવી જ્યારે કેટલીક વધૂઓના પ્રેગ્નન્સી ટેસ્ટ કરાયા. લગભગ 219 યુવતીઓમાંથી પાંચ ટેસ્ટ પોઝિટિવ આવતા તેમના લગ્ન નહોતા કરાવાયા. જેના પગલે આ મામલો મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો.
કોંગ્રેસે આ મામલે સવાલ કર્યા છે કે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવવાનો આદેશ કોણે આપ્યો હતો? મુખ્યમંત્રી કન્યા વિવાહ/ નિકાહ યોજના હેઠળ ડિંડોરીના ગડસરાઈ વિસ્તારમાં સમૂહ લગ્ન યોજાયા હતા. જે મહિલાઓના પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમાંથી એક મહિલાએ કહ્યું કે તેણે લગ્ન પહેલા જ તેના મંગેતર સાથે રહેવાનું શરુ કર્યું હતું. તેણે ક્હ્યું કે. મારો પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કદાચ આ જ કારણ છે કે લગ્નની અંતિમ યાદીમાંથી મારું નામ હટાવવામાં આવ્યું હોય, જોકે સત્તાવાળાઓએ મને કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી.
હવે આ મામલો રાજકીય વિવાદ ઊભો કરી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવીને મહિલાઓનું અપમાન કર્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વિટ કરીને જણાવ્યું કે, હું મુખ્યમંત્રી પાસેથી જાણવા માંગુ છું કે શું આ સમાચાર સાચા છે? જો આ સમાચાર સાચા છે તો કોના આદેશ પર મધ્યપ્રદેશની દીકરીઓનું અપમાન કરાયું? શું મુખ્યમંત્રીની નજરમાં ગરીબ અને આદિવાસી સમાજની દીકરીઓનું સન્માન નથી? શિવરાજ સરકારમાં મહિલાઓ સાથે ગેરવર્તણૂકના મામલામાં મધ્યપ્રદેશ પહેલાથી જ દેશમાં ટોચ પર છે. હું મુખ્યમંત્રી પાસેથી માંગ કરું છું કે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને ગુનેગારોને સખતમાં સખત સજા થવી જોઈએ.
Advertisement