આશાવલ્લી સાડી એ શું છે ?
આશાવલ્લી સાડી એ બ્રોકેડ સાડીનો પ્રકાર છે જેમાં શુદ્ધ સિલ્ક અને શુદ્ધ ઝરી દ્વારા દેશી વણાટકામ થતું હોય છે. આ સાડી જકાર્ડ પદ્ધતિથી વણવામાં આવે છે અને તેને બનાવવાની પ્રોસેસમાં ડિઝાઈન કોન્સેપ્ટ, રંગકામથી લઈને વણાટકામની પ્રોસેસમાં ડિઝાઈન અનુસાર ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગે છે. સમગ્ર વિશ્વમાં આ પદ્ધતિથી સાડી બનાવવામાં એક માત્ર અમારો સોમાભાઈ જીજીદાસ પટેલ, ગામ-રિદ્રોલ આ પરંપરાને જાળવીને કામ કરે છે. જે આપણાં દેશ માટે એક ગૌરવની વાત છે.
આશાવલ્લીનો વારસો આપને મળ્યો છે તેની સામે તમને કેવી કેવી ચેલેન્જ લાગી રહી છે ?
ચેલેન્જમાં સૌથી મોટી વાત એ છે કે અમદાવાદના જ લોકો પોતાની આ અમૂલ્ય ધરોહર વિશે જાણતા નથી. જેના કારણે શુદ્ધ વસ્તુ લેવાનું કે મળી રહ્યું છે તેનું ગૌરવ હોવું જોઈએ તે સામાન્ય ખરીદદારોમાં નથી. વણાટની સાડી જે પહેરે તેને જ ખ્યાલ આવે અને આ ભાવ ફરી જાગે તો જ આ તમામ પડકારો સામાન્ય થઈ જશે એવું લાગે છે. આ એક ફીલ કરવાની વસ્તુ છે નહીં કે માત્ર બતાવવાની. આશાવલ્લીનો વારસો સમજાય એ માટે અમે ખાસ ગ્રાહકોને અમારા વર્કશોપમાં તેમની સાડી બનતી હોય ત્યારે તેમાં વપરાતા રંગોથી લઈને વણાટકામની પ્રોસેસ બતાવીએ છીએ. જેથી પહેરનાર ખુદ ગૌરવ અનુભવે કે તે જે સાડી લઈ રહ્યા છે તેનું સાંસ્કૃતિક મૂલ્ય ખૂબ જ ઊંચું છે. અમે જોયું છે કે ગ્રાહક પોતે જાતે જ પ્રાકૃતિક રંગોનો અહેસાસ કરે છે તેની મહેકને માણે છે અને તેને પહેરવાથી જે ફીલ થાય છે તે પણ ખરીદ્યા પછી આત્મસાત કરીને ફરી પાછા બીજીવાર આવે છે.
Advertisement
Advertisement
આજના યુવાનો પોતાના પરિવારનો વારસો જાળવે છે ત્યારે તેમને કેવા કેવા લાભ થાય છે? આટલી નાની ઉંમરે સૌથી અઘરી ગણાતી વણાટકલાને તમે કેવી રીતે આત્મસાત કરી ?
મારા પિતાએ મને ક્યારેય નથી કહ્યું કે તારે આ હાથવણાટની સાડી બનાવવામાં જોડાવવું પડશે. પરંતુ મને કુદરતી આ કલા સાથે લગાવ હતો. હું આશાવલ્લીની લૂમ વચ્ચે મોટો થયો છું. તેના પ્રાકૃતિક રંગો અને તેમાં આવતા નાના બદલાવને હું નાનપણથી જોતો આવ્યો છું. મારી જાતને નસીબદાર ગણું છું કે મારા પિતા વિષ્ણુભાઈએ નાનપણથી જ મને આ સાડીની એક એક પ્રોસેસમાં નિપુણ બનાવ્યો. જો કે કોઈપણ કલા એ નિરંતર શીખવાની પ્રક્રિયા છે. અને એ કારણથી જ આ વારસામાં પણ હું નવા નવા પ્રયોગો કરી રહ્યો છું. પિતાનો વારસો જાળવવાના અનેક ફાયદા છે. એક તો તમને તૈયાર પ્લેટફોર્મ નળે છે અને તમને નાની ઉંમરે કંઈક નવું કરી શક્વાનો સમય અને સ્ત્રોત પણ મળે છે.
આત્મનિર્ભર ભારત માટે યુવાનોએ ટેક્સટાઈલ ક્ષેત્રે શું કરવાની જરુર છે ?
ટેક્સટાઈલ ક્ષેત્રે મેં ભારતની આ પરંપરાને ફરી પુનર્જીવિત કરવાનો ઉદ્દેશ છે. એક સમયે પાટણના પટોળા છેક ઈન્ડોનેશિયા સુધી જતાં હતા. તેમાં આવેલું એક મોટીફ જેમાં વાઘની પ્રતિમા છે તે ઇન્ડોનેશિયમાં ઘણો પ્રચલિત હતો. એવી જ રીતે આશાવલ્લીનો પ્રાચીન ટ્રેક છેક થાઈલેન્ડના રાજવી પરિવાર સુધી જોડાયેલો હતો. અત્યારે અમે આ ફરી ચાલુ કર્યું છે. થાઈ નેશનલ મ્યુઝિયમમાં આશાવલ્લી કિનખાબના સુંદર નમુના છે. લંડનના વિક્ટોરિયા અલ્બર્ડ મ્યુઝિયમમાં પણ અમારા આશાવલ્લીના નમુના પ્રસ્તુત છે. મારા મતે યુવાનોએ પોતાની સાંસ્કૃતિક ધરોહરને સમગ્ર વિશ્વમાં ફેલાવવાની જરુર છે.
નેચરલ ઈન્ડિગોમાં તમે અનેક પ્રયોગ કર્યા છે અને આજે પણ ડિઝાનિંગ ક્ષેત્રમાં તેની વિશેષ નોંધ લેવાઈ છે તો તેના વિશે માહિતી આપો.
અરવિંદ મિલ દ્વારા જ્યારે ભારતીય ટેક્સટાઈલના વારસામાં શિરમોર ગણાતા ઈન્ડિગો માટે એક સુંદર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર પ્રોજેક્ટમાં એક ટેક્સટાઈલ એક્સપર્ટ તરીકે મને સુંદર તક મળી. જેમાં અમે નેચરલ ઈન્ડિગોના અનેક પ્રયોગો કર્યા. ભારતના ઝળહળતા ઇતિહાસમાં નજર નાંખીએ તો ખ્યાલ આવે છે કે આ દેશના ટ્રેડ રુટ ઇન્ડિગોને કારણે વધુ મહત્ત્વના હતા. એની સામે આજે ધીમે ધીમે આ વારસો આપણે ખોઈ રહ્યા હોઈએ એવું લાગે છે. પરંતુ અમે ઇન્ડિગોના અનેક નેચરલ શેડ્સ ડેવલપ કર્યા. આજે એવું સુંદર વાતાવરણ સર્જાયું છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પણ ભાષા જેવી સંસ્થા ઇન્ડિગોની ખેતી કરાવી રહી છે. મને આનંદ એ વાતનો છે કે ગુજરાતનો આ લુપ્ત થતો વારસો આજે ફરી જીવંત થયો છે.
યંગ એન્ટરપ્રિન્યોરને તમારો શું સંદેશ છે ?
અત્યારે વોકલ ફોર લોકલનું જે અભિયાન છે તેમાં સૌ જોડાય. સાથે જાગ્રુતિથી પોતાના ઇનપુટ સાથે જોડાય. આ એક મિકેનિકલ પ્રોસેસ ના બની જાય તેનું પણ ધ્યાન રાખીને આપણી સર્જનાત્મક્તાને વધુને વધુ વિક્સાવીએ.
Advertisement