જૂની રંગભૂમિનો એક આગવો સમય હતો. ગુજરાતની લોકકલા ભવાઈની સાથે સાથે નાટ્ય કલામાં એ જમાનામાં પૃથ્વીરાજ ચૌહાણ, હરિશ્ચંદ્ર તારામતી જેવા નાટકો પ્રચલિત હતા. આપણે સૌ જાણીએ છીએ કે એ ગાંધીજીમાં સત્યની પ્રેરણા ‘હરિશ્ચંદ્ર તારામતી’ નાટક થકી થઈ હતી. મોઢેરા પાસેના દેઉસણા ગામના એવા જ એક વયોવૃદ્ધ નાટ્યકાર ચંદુભાઈ ખોડીદાસ નાયકની નાટ્યયાત્રા અહીં ફોટા થકી પ્રસ્તુત કરવામાં આવી છે જેથી ખ્યાલ આવશે કે આજથી પચાસ વર્ષ પહેલાંનું નાટ્ય જગત અને તેનું બંધારણ કેવું હતું. તે સમયની જાહેરાતો, ટિકિટો અને રજૂઆતો કેવી હતી. આ એ સમય છે જ્યારે મહિલાઓને નાટકમાં કામ કરવાની મનાઈ ફરમાવામાં આવતી. તો બીજી તરફ મહિલા પાત્રોની ભૂમિકા પણ અમૂક પૂરુષ કલાકારો માટે તક બની જતી. ગ્રામ્ય ક્ષેત્રોમાં ફાનસના અજવાળે થતાં આ નાટકો કોઈ ઝાડ નીચે ભજવાતા. ચંદુભાઈની મુરબ્બી આંખોમાં આજે પણ આ સ્મૃતિઓ પડેલી છે જેને તેમણે સાચવી રાખેલી ટિકિટો અને જાહેરાતો દ્વારા પ્રસ્તુત કરી છે.
Advertisement
Advertisement
આજે નેવું વર્ષની જૈફ વયે પણ ચંદુભાઈના સ્વરોમાં એટલી જ તાજગી છે. આજે પણ જ્યાં તેમને હારમોનિયમ આપવામાં આવે કે તરત જ તેઓ…પળ પળ સગળે રે સંસાર…સાંભરે રે બાળપણના સંભારણાં. આ એ સમય છે જ્યારે જૂની રંગભૂમિના નાટકો જોવા માટે લોકો દૂર દૂરથી વાહનો ભરીને આવતા. ટિકિટો માટે પડાપડી થતી. ચાલુ નાટકમાં સ્ત્રીઓનું પાત્ર ભજવતા પુરુષો તરફ પણ લોકોને આકર્ષણ જાગતું.
જસ્મા ઓડણ, માલવપતિ મુંજ, પૈસો બોલે છે જેવા નાટકો જોવાતા. મહેસાણા જિલ્લામાં આજે પણ બાધા-આખડીઓમાં અનેક પટેલ પરિવારોમાં નાટકનું આયોજનની પ્રથા છે. જે દર્શાવે છે કે સમગ્ર આનર્ત પ્રદેશમાં આજે પણ પરફોર્મિંગ આર્ટનું મહત્ત્વ કેવું રહેતું હશે.
ચંદુભાઈના પુત્ર મંગળભાઈ પણ શિક્ષક હોવા છતાં પણ તેમણે નાયક સમુદાયની આ નાટ્ય પરંપરાને સંભારણા તરીકે સાચવી રાખી છે.
Advertisement