કાઠમંડુ: નેપાળના પોખરામાં વિમાન દૂર્ઘટનામાં પાંચ ભારતીય સહિત 72 લોકોના મોત થયા છે. આ વિમાનમાં 68 મુસાફર અને ચાલક દળના ચાર સભ્ય સહિત કુલ 72 લોકો સવાર હતા અને તેમાંથી કોઇ જીવતુ બચ્યુ નહતુ. નેપાળની સેનાએ સોમવારે જણાવ્યુ કે દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોઇ જીવતુ નીકળી શક્યુ નથી. આ નેપાળમાં કેટલાક વર્ષની સૌથી મોટી વિમાન દૂર્ઘટના છે.
Advertisement
Advertisement
રવિવાર સવારે બની હતી દૂર્ઘટના
રવિવાર સવારે લગભગ 11 વાગ્યે યતી એરલાઇન્સનું એક વિમાન દૂર્ઘટનાનો શિકાર બન્યુ હતુ. 72 સીટર આ વિમાન પોખરા એરપોર્ટના રન વે પર લેન્ડ કરવાની માત્ર 10-20 સેકન્ડ પહેલા ક્રેશ થઇ ગયુ હતુ. દૂર્ઘટના પહેલા વિમાનના કોકપિટથી ખતરાના કોઇ સંકેત આવ્યા નહતા. રવિવારે આ વિમાનની ત્રીજી ઉડાન હતી. શરૂઆતની તપાસમાં ટેકનિકલ ખામીને આ દૂર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
નેપાળમાં એક દિવસનો રાજકીય શોક
વિમાન દૂર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી મંડળની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. સાથે જ નેપાળ સરકારે વિમાન દૂર્ઘટનાને લઇને એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી.
વિમાનમાં પાંચ ભારતીય સવાર હતા
દૂર્ઘટનાનો શિકાર બનેલા વિમાનમાં પાંચ ભારતીય સહિત કુલ 15 વિદેશી નાગરીક મુસાફરી કરી રહ્યા હતા. એરલાઇન્સે જણાવ્યુ કે વિમાનમાં પાંચ ભારતીય, ચાર રશિયન, બે દક્ષિણ કોરિયન અને ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, આર્જેન્ટીના અને આયરલેન્ડના એક એક મુસાફર હતા. બાકી તમામ નેપાળી નાગરિક હતા.
ભારતીય નાગરિકોની ઓળખ બિહારના રહેનારા સંજય જયશ્વાલ, ઉત્તર પ્રદેશના ગાજીપુરના અભિષેક કુશવાહા (25), અનિલ રાજભર (25), વિશાલ શર્મા (25) અને સોનૂ જયસ્વાલ (30) તરીકે થઇ છે.
પશુપતિનાથ મંદિર ફરવા ગયા હતા ચારેય મિત્ર
ગાજીપુરના આ ચારેય મિત્ર કાઠમંડુ સ્થિત પશુપતિનાથ મંદિર ફરવા ગયા હતા. એક વેપારી રાજેન્દ્ર જયસ્વાલે કહ્યુ કે સોનૂ ઘણા સમયથી પશુપતિનાથ મંદિર ફરવા જવા માંગતો હતો અને તેને મિત્રો સાથે અહી ફરવાની યોજના બનાવી હતી, તેમણે જણાવ્યુ કે દૂર્ઘટના સમયે સોનૂ ફેસબુક લાઇવ કરી રહ્યો હતો અને વિમાનની અંદરનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે.
વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રીએ દુખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે નેપાળમાં દૂર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યુ કે નેપાળમાં દૂર્ઘટના અંગે જાણીને દુખ થયુ, જેમાં ભારતીય નાગરિકો સહિત કિંમતી જીવ ગયા છે, તેમના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ વિમાન દૂર્ઘટનામાં લોકોના મોત પર પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.
Advertisement