પાકિસ્તાનની સ્વાત ખીણમાં આતંકવાદ વિરોધી વિભાગની ઓફિસમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે.
Advertisement
Advertisement
વિસ્ફોટમાં 53 લોકો ઘાયલ થયા છે. જેમાંથી આઠની હાલત ગંભીર છે. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મૃતકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. વિસ્ફોટમાં આતંકવાદ વિરોધી કાર્યાલયની ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે.
તેના કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે.
સ્વાત પોલીસનું કહેવું છે કે આતંકવાદ વિરોધી વિભાગની ઓફિસમાં થયેલો વિસ્ફોટ આતંકવાદનું કૃત્ય નથી.
પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે જૂની સીટીડી ઓફિસમાં વિસ્ફોટ થયો હતો, પરંતુ અત્યારે અમારી પાસે આતંકવાદી હુમલાનો કોઈ સંકેત નથી. ઇલેક્ટ્રિક શોટ-સર્કિટના કારણે અહીં રાખવામાં આવેલા હથિયારોમાં આગ લાગી હતી.
પાકિસ્તાની તાલિબાન જૂથે તાજેતરના સમયમાં અહીં સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. પરંતુ તેણે આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પહેલા વિસ્ફોટોને ‘ફિદાયીન હુમલો’ ગણાવ્યો હતો પરંતુ બાદમાં કહ્યું હતું કે “વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે”.
સ્વાત ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. જેના કારણે અહીં સુરક્ષા દળોની ખાસ હાજરી છે. 2012માં આ ખીણમાં આતંકવાદીઓએ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ પર હુમલો કર્યો હતો.
Advertisement