ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે સાંજે એક ભીષણ અકસ્માત થયો હતો. કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના ઘણાં ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેના અનુસાર, આ અકસ્માતમાં કુલ 238 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. હજુ પણ કેટલાક મુસાફરો ટ્રેનમાં ફસાયા હોવાની આશંકા છે. આ સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ તહેવાર ઉજવાશે નહીં.
ગઈકાલે બાલાસોરના બહાનાગા ખાતે થયેલા દુ:ખદ ટ્રેન અકસ્માતના પગલે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજકીય શોકનો આદેશ આપ્યો છે અને તેથી રાજ્યભરમાં કોઈ તહેવાર ઉજવવામાં આવશે નહીં, એમ આ દુર્ઘટના બાદ ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. 3 જૂને રાજ્યમાં કોઈ તહેવાર અને ઉત્સવની ઉજવણી કરવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે બહાનાગા સ્ટેશન પાસે હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચેની ટક્કરથી આ ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મુસાફરોને લઈને જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસના 10 થી 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
દુર્ઘટના બાદ ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોન્ચિંગ રદ કરાયું
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. શનિવારે પીએમ મોદી ગોવામાં પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવવાના હતા. પરંતુ ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાને કારણે તેનું લોન્ચિંગ હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે. PM મોદી શનિવારે સવારે વીડિયો લિંક દ્વારા ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવાના હતા. પરંતુ અકસ્માત બાદ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
ભાજપાની તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ઓડિશાના બાલાસોરમાં ગઈકાલે સાંજે થયેલો ભયાનક ટ્રેન અકસ્માત અત્યંત દુઃખદ અને હ્રદયદ્રાવક છે. આ હૃદયદ્રાવક ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. આ ભયાનક ટ્રેન દુર્ઘટનાને જોતાં ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનારા કાર્યક્રમોની સાથે દેશભરમાં યોજાનારા તેના તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે શોકગ્રસ્ત પરિવારોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભગવાન મૃત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે.
Advertisement