લાંબા સમયની રાહ જોયા બાદ અંતે નોર્થઈસ્ટને તેની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળવા જઈ રહી છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીથી આસામના ગુવાહાડી સુધી દોડશે. તેને આ અઠવાડિયે જ ફ્લેગ ઓફ કરી શકાય છે. તેની ટ્રાયલ રન શરુ થઈ ગઈ છે. પૂર્વોત્તરમાં આ પહેલી વંદે ભારત ટ્રેન હશે. પશ્ચિમ બંગાળમાં ત્રીજી અને દેશની 17મી ટ્રેન હશે.
રવિવારે ટ્રાયલ રન દરમિયાન ન્યૂ જલપાઈગુડીથી પહેલીવાર ગુવાહાટી પહોંચી હતી. આઠ કોચની આ ટ્રેનમાં એક એક્ઝિક્યૂટિવ કોચ હશે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 મેના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને ફ્લેગ ઓફ કરી શકે છે. ન્યૂ જલપાઈગુડીથી બીજી ટ્રેન છે. અગાઉ ન્યૂ જલપાઈગુડીથી હાવડા સુધી વંદે ભારત ચલાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ન્યૂ જલપાઈગુડી-ગુવાહાટી વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ ચાલશે. તે છ કલાકમાં 410 કિલોમીટરનું અંતર કાપશે. આ પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુન સુધીમાં લગભગ તમામ રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વંદે મેટ્રોને 100 કિમીથી ઓછા અંતર માટે ડિઝાઈન કરાઈ છે. અત્યાર સુધી ઘણા રાજ્યોને વંદે ભારતની ભેટ મળી નથી, જેમાં ગોવા, ઝારખંડ, પંજાબ, બિહાર અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં ઉત્તરાખંડ, ગોવા અને બિહાર-ઝારખંડ માટે વંદે ભારત ટ્રેન શરુ થઈ શકે છે. જોકે પંજાબે હવે રાહ જોવી પડી શકે છે.
Advertisement