મણિપુરમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય રાજ્યની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યમાં 1500 અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા છે, આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના મુખ્યમંત્રી સાથે બે વખત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી. બિરેન સિંહે પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. ગૃહમંત્રી આજે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે જવાના હતા, પરંતુ તેઓએ પ્રવાસ રદ કર્યો હતો.
ભારતીય વાયુસેનાના પરિવહન એરક્રાફ્ટ C-17 અને AN-32 એ આસામના બે બેઝથી મણિપુર સુધી સુરક્ષા દળોની વધારાની ટુકડીઓને એરલિફ્ટ કરી છે. રાજ્યમાં સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે સેના તમામ હિતધારકો સાથે સંકલનમાં કામ કરી રહી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી તમામ સમુદાયના નાગરિકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે
ભારતીય સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 9000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે. ચુરાચંદપુર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોની ફ્લેગ માર્ચ ચાલી રહી છે. સીઆરપીએફ અને આસામ રાઈફલ્સની ટુકડીઓ પણ મોરચે તૈનાત છે. રમખાણોને કાબૂમાં લેવામાં સફળતા મેળવી છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા ઉત્તરપૂર્વ સીમા રેલ્વેએ મણિપુર જતી તમામ ટ્રેનોને રોકી દીધી છે. NF રેલ્વેના CPRO સબ્યસાચી ડેએ સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું હતું કે ‘જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી કોઈ ટ્રેન મણિપુરમાં પ્રવેશ કરશે નહીં. મણિપુર સરકાર દ્વારા ટ્રેનની અવરજવર રોકવાની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય સૈન્યએ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ ફક્ત સત્તાવાર અને વેરિફાઇ સ્ત્રોતમાંથી જ મળેલા ન્યૂઝ પર વિશ્વાસ કરે. ભારતીય સેના તરફથી આ એલર્ટ મણિપુરમાં સુરક્ષાની સ્થિતિ પરના અનેક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયા બાદ આવ્યું છે.
તણાવ વચ્ચે રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના 16માંથી 8 જિલ્લામાં કર્ફ્યુ છે. ગુરુવારે જાહેર કરાયેલા આદેશ અનુસાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોની કુલ 12 કંપનીઓ મણિપુર પહોંચી છે. સીઆરપીએફ, આસામ રાઈફલ્સ તેમાં અગ્રણી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંરક્ષણ મંત્રાલયને વિનંતી કર્યા બાદ આ તમામ કંપનીઓને એરલિફ્ટ કરવામાં આવી હતી. મણિપુરના રાજ્યપાલે ગુરુવારે તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો
Advertisement