ઇમરાન ખાનની ધરપકડ થયા પછી પાકિસ્તાનમાં હિંસા અને આગજનીના બનાવો બન્યા છે અને અત્યાર સુધીમાં 8ના મોત થયા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે અને આ હિંસામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોતના સમાચાર છે. પીટીઆઈના કાર્યકરોએ મોડા રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ કરી હતી. લાહોરમાં ગવર્નર હાઉસ સળગાવી દેવામાં આવ્યું હતું અને કરાચીના કેન્ટ વિસ્તારમાં હુમલા કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
પાકિસ્તાની રેન્જર્સે અલ કાદિર યુનિવર્સિટી કૌભાંડના એક કેસમાં ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી અને એ પછી પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર ઈમરાન આગામી 4-5 દિવસ સુધી તપાસ એજન્સી NABની કસ્ટડીમાં રહેશે. તેના પર અબજો રૂપિયાના કૌભાંડ અને મની લોન્ડરિંગનો આરોપ છે એવા સમાચાર છપાયા હતા. ઈમરાન બે કેસમાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યો હતો, જ્યાં પાકિસ્તાન રેન્જર્સે તેની ધરપકડ કરી હતી.
આ વાત ફેલાતાં ફેલાતા પાકિસ્તાનમાં વાતાવરણ તંગ બન્યું હતું અને પીટીઆઈ સમર્થકોએ મોડી રાત્રે લાહોરમાં આર્મી કમાન્ડરના ઘરને આગ ચાંપી દીધી હતી. ઘણા વધુ સૈન્ય અધિકારીઓનાં ઘરો પર હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હિંસાને જોતાં દેશભરની શાળાઓ બંધ રાખવામાં આવી છે. રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. જયારે પેશાવરમાં 30 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું છે કે પાર્ટી ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. પીટીઆઈ નેતા કાસિમ સૂરીએ દાવો કર્યો છે કે ક્વેટામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પાર્ટીના એક કાર્યકરનું મોત થયું છે. ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે 5 અધિકારીઓ ઘાયલ થયા છે, જ્યારે 43 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ખાન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે મલિક રિયાઝને મની લોન્ડરિંગના કેસમાં ફસાવ્યા હતા. રિયાઝની બ્રિટનમાં અબજો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ પછી એક ડીલ હેઠળ બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)એ પાકિસ્તાન સરકારને લગભગ 1 હજાર 969 કરોડ રૂપિયા મોકલ્યા હતા. ઈમરાન ખાન, તેમની પત્ની અને અન્ય પીટીઆઈ નેતાઓએ સાથે મળીને કેબિનેટને આ માહિતી આપી નહોતી.
એક રીતે જોવા જઈએ તો પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એક તરફ પ્રજા આર્થિક પાયમાલ થઈ ગઈ છે એવામાં ભારેલા અગ્નિની જેમ રોષથી ભરાયેલી પ્રજા સામે ઈમરાન ખાનની ધરપકડ કરવા સાથે જ પાકિસ્તાનમાં સ્થિતિ વણસી છે.
Advertisement