ચારધામ દર્શન કરવા ઈચ્છતા પ્રવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે દર્શનાર્થીઓ હૃદય કે બ્લડપ્રેશર સંબંધિત સમસ્યાથી પીડાતા હોય તેઓએ ખાસ તકેદારી રાખવાની જરુર છે.
મળતી માહિતી અનુસાર ચારધામ યાત્રા દરમિયાન છેલ્લા 6 દિવસમાં 6 શ્રદ્ધાળુને હાર્ટ એટેક આવ્યો છે જ્યારે ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે.
તબીબોના મતે ચારધામ યાત્રાએ જતા અગાઉ હૃદય અને બ્લડ પ્રેશરના દર્દીઓએ પ્રોફાઈલ હેલ્થ ચેકઅપ કરાવવું અને ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.
ચારધામ યાત્રાના પ્રથમ જ દિવસે ગત શનિવારે યમુનોત્રીએ ઘોડા પર બેસીને જતી વખતે ગુજરાતના 62 વર્ષીય શ્રદ્ધાળુનું મૃત્યુ થયું હતું. તેમને શ્વાસની બીમારી હતી અને ભૈરો મંદિર પાસે પહોંચતા જ બેચેની વધી હતી અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા બેભાન થઈ ગયા હતા. તેમને તાકીદે હોસ્પિટલ લઈ જવાયા અને મૃત્ત જાહેર કરાયા હતા.
આ જ રીતે આંધ્રપ્રદેશના 70 વર્ષીય વૃદ્ધનું કેદારનાથ ધામ પરિસરથી થોડે દૂર હાર્ટ એેટેકથી મૃત્યુ થયું હતું.
મધ્યપ્રદેશના 67 વર્ષીય વૃદ્ધ યમુનોત્રી ધામમાં દર્શન દરમિયાન જ બેભાન થઈ ગયા હતા અને કાર્ટિયાક અરેસ્ટને કારણે સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ચારધામ યાત્રાના સ્થળે હવા ઠંડી અને પાતળી હોવાથી ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. જેમને અગાઉ હાર્ટ એટેક આવ્યો હોય તેમને ઠંડીમાં હૃદયની નળીઓ સંકોચાવાની સમસ્યા રહે છે.
ઠંડીની અંદર બોડીનું તાપમાન મેઈન્ટેન રાખવા BMR વધારવો પડે અને જેના કારણે હૃદય પર વધારાનો શ્રમ પડતો હોય છે. ઠંડા વાતાવરણમાં નળીઓમાં લોહી ગંઠાઈ જવાની સંભાવના વધી જતી હોય છે. હૃદયની સમસ્યા હોય તેમણે ગરમ વસ્ત્રો પૂરતા પહેરવા જોઈએ. દવાઓ જે હોય તે નિયમિત લેવી જોઈએ. ચારધામ યાત્રાએ જતા અગાઉ પ્રોફાઈલિટિક હેલ્થ ચેક અપ કરાવવું પણ તેમના માટે જરુરી છે.
Advertisement