ગાંધીનગરઃ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલની વચગાળાની જામીન અરજીને મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જયસુખ પટેલના વકીલે દાખલ કરેલી જામીન અરજીમાં જણાવ્યું હતું કે બેંકનું કામ અને પીડિતોને વળતર ચૂકવવા માટે જયસુખ પટેલને વચગાળાના જામીન મંજૂર કરવા જોઈએ. તાજેતરમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન બન્ને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી હતી. મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બન્ને પક્ષની દલીલો પૂરી થયા પછી પોતાનો ચુકાદો આજે એટલે કે 7 માર્ચ પર સુરક્ષિત રાખ્યો હતો.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે જયસુખ પટેલને પીડિતોની મદદ માટે વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે જયસુખ પટેલ ત્રણ મહિનાથી ફરાર હતા અને એક મહિનાથી જેલમાં છે.વળતર આપવા માટે જયસુખ પટેલને જામીન આપવા જોઈએ નહીં. તે જેલમાં છે તે છતાં પણ કંપનીનું કામકાજ ચાલી રહ્યું છે. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યોહતો.
ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો મહત્ત્વનો આદેશ
અગાઉ મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીને મૃતકના પરિવારજનોને રૂ.10-10 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં દુર્ઘટનામાં ઘાયલ દરેક પીડિતને રૂ. 2 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનામાં અનાથ થયેલાં 7 બાળકોની સારસંભાળ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. ચુકાદો સંભળાવતી વખતે ગુજરાત હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે વળતર ચૂકવવાથી પોલીસ કાર્યવાહીમાંથી રાહત મળશે તેમ કંપનીએ માનવું જોઈએ નહીં. કેસની કાર્યવાહી અને વળતરને કોઈ સંબંધ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબી ઝૂલતો પૂલ તૂટવાને લીધે સર્જાયેલી દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
Advertisement