ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માલધારી સમાજને મનાવવામાં ફરી નિષ્ફળ ગયુ છે. ભાજપની નીતિ-રીતિથી માલધારી સમાજ વિધાનસભા ચૂંટણી પહેલા નારાજ છે અને ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું આહવાન કરી નાખ્યુ છે. માલધારી મહાપંચાયતની બેઠક મળી હતી જેમાં ભાજપ વિરૂદ્ધ ચૂંટણીમાં મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીની વોટ બેન્ક ગણાય છે.
Advertisement
Advertisement
માલધારી સમાજના પ્રવક્તા નાગજીભાઇ દેસાઇએને કહ્યુ કે, “માલધારી મહાપંચાયતના સીનિયર આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય પર આવ્યા છીએ કે આવનારી ચૂંટણીમાં માલધારી સમાજે કઇ રાહ અપનાવી, ભૂતકાળમાં હેરાન-પરેશાન કરવામાં આવ્યા, ખાસ કરીને છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા આપણા માલધારી સમાજની રોજગારી છીનવાઇ ગઇ અને હજુ પણ ભવિષ્યમાં એવુ લાગી રહ્યુ છે કે ચૂંટણી પછી આપણી હાલત વધુ ખરાબ કરશે. ગુજરાત માલધારી મહાપંચાયતે નિર્ણય કર્યો છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર ગુજરાતના માલધારી ભાજપની વિરૂદ્ધ મતદાન કરશે જેથી તેમની શાન ઠેકાણે આવે અને આવનારી પેઢી આપણી પ્રગતિ કરે તેમની વાત સાંભળે, સાચા નિર્ણય અને સાચી હકીકત સરકાર ના સ્વીકારે તે માટે આપણી પાસે હથિયાર હોય તો તે મતદાન છે.”
માલધારી સમાજના પ્રવક્તાએ આહવાન કરતા વધુમાં કહ્યુ કે, “સમગ્ર માલધારી સમાજને ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે કે આપણે ભારત અને ગુજરાતમાં મોટી સંખ્યામાં વસીએ છીએ પણ આપણો મત આપણો અધિકાર અપાવી શકે છે, આવનારી વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર માલધારી સમાજ ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે.”
ભાજપ પર અત્યાચારના આરોપ લગાવીને માલધારી સમાજના આગેવાને કહ્યુ કે, છેલ્લા દોઢ વર્ષમાં અમારી બેન-દીકરીઓ પર અત્યાચાર થયા, અમારો પશુપાલનનો વ્યવસાય છીનવી લેવાના પ્રયાસ થયા, તમામ નિર્ણયની ચર્ચા વિચારણા કર્યા બાદ માલધારી સમાજના સૂચન મંગાવ્યા બાદ માલધારી સમાજ એ નિર્ણય પર આવ્યો છે કે 1 અને 5 ડિસેમ્બરે ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગાયને છોડી મૂકવા બદલ એક વ્યક્તિને ફટકારવામાં આવી છ મહિનાની જેલની સજા
માલધારી સમાજની શું માંગણીઓ હતી?
-
ગીર, બરડા અને આલેચના પ્રશ્નનો નિકાલ ન થયો
-
માલધારી વસાહતો ન બનાવી અને નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનવુ પડ્યુ
-
માલધારી સમાજના પશુપાલન કરતા લોકો ઉપર ખોટા પોલીસ કેસ કરી જેલમાં પુરવામાં આવ્યા
-
સમગ્ર ગુજરાતમાં દૂધની ડેરી અને મંડળીઓમાંથી માલધારી સમાજનો એકડો કાઢી નાખ્યો
-
માલધારી સમાજને ખેડૂત બનવાનો હક્ક ના આપ્યો
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન જ્યારે 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement