નવી દિલ્હીઃ સંસદમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષ વચ્ચે તણાવ વધતો જ રહ્યો છે. લંડનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું નિવેદન અને અદાણી મુદ્દાને લઈને પક્ષ અને વિપક્ષ આમને-સામને છે. તે દરમિયાન ભારે હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભા બન્નેની કાર્યવાહી 20 માર્ચ એટલે કે સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ ગઈકાલે લોકસભાના અધ્યક્ષને મળીને ગૃહમાં પોતાની વાત રજૂ કરવાની પરવાનગી માગી હતી. તેમણે કહ્યું કે સરકારના ચાર મંત્રીઓ દ્વારા તેમના પર મૂકવામાં આવેલા આરોપોનો તેઓ સંસદમાં જવાબ આપશે. રાહુલ ગાંધી આજે લોકસભાને સંબોધન કરવાના હતા. પરંતુ, આજે સંસદની કાર્યવાહી થઈ શકી ન હતી અને હોબાળાના કારણે બન્ને ગૃહોની કાર્યવાહી 20 માર્ચને સોમવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
Advertisement
Advertisement
હાલના બજેટસત્રના પાંચમા દિવસે પણ સંસદના બન્ને ગૃહોમાં કાર્યવાહી થઈ શકી ન હતી. ભારે હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભા બન્નેની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી. રાહુલ ગાંધી લોકસભામાં આજે પોતાની વાત રજૂ કરવાના હતા. પરંતુ, સવારે તેઓ જેવા સંસદ પહોંચ્યા કે તરત જ હોબાળો શરૂ થઈ ગયો અને કાર્યવાહી અટકાવી દેવાઈ. હોબાળા વચ્ચે લાંબા સમય સુધી લોકસભાની કાર્યવાહીનો ઓડિયો મ્યૂટ રહ્યો હતો. પરંતુ, સૂત્રોચ્ચાર અને હોબાળો ચાલુ રહ્યો હતો. ત્યારબાદ સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી આજના આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત, રાજ્યસભાની કાર્યવાહી પણ 20 માર્ચને સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સાંસદો મધ્યભાગમાં આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ આ મામલે કહ્યું કે ભાજપાના સભ્યો આડી-અવળી વાતો શા માટે કરે છે, સંસદમાં ચર્ચા કરવાથી શા માટે ડરે છે ? ભાજપા રાહુલ ગાંધી થી ડરી ગઈ છે. પ્રધાનમંત્રીની 56 ઈંચની છાતી રાહુલ ગાંધીની બીકને લીધે હવે સંકોચાઈ રહી છે.
ઉલ્લેખનીયછે કે રાહુલ ગાંધીના ભાષણને લઈને સત્તાધારી પક્ષના સાંસદોએ માફીની માગણી કરી હતી. તેને લઈને વિપક્ષના સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો. તે દરમિયાન ગૃહમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ હાજર હતા. વિપક્ષનું કહેવું છે કે રાહુલ ગાંધી માફી નહીં માંગે. સંયુક્ત સંસદીય સમિતિ (JPC)દ્વારા ગૌતમ અદાણી મામલાની તપાસ કરાવવામાં આવે તેવી વિપક્ષની માગણી છે.
Advertisement