આજે સતત આઠમા દિવસે કમોસમી વરસાદ ચાલુ છે. વરસાદ પડવાની સાથે સાથે વીજળી પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે દિવસ દરમ્યાન ત્રણ જગ્યાએ વિજળી પડવાથી મૃત્યુની ઘટી હતી.
Advertisement
Advertisement
આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે વીજળી પડતાં એક યુવક અને એક સાથે 80 બકરાંનાં મોત નીપજ્યાં હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વાતાવરણમાં આજે બપોરના સમયે પલટો આવ્યો હતો. ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકાના નરાળી, કોપરાણી, સતાપર, બાવરી, જસાપર, હરિપર, દુદાપુર અને નવલગઢ સહિતનાં ગામોમાં માવઠું થયું હતું.
સુરેન્દ્રનગરના જિલ્લાના પાટડીના નાવિયાણી ગામમાં વીજળી પડતાં એક યુવાનનું ગઈકાલે મોત નીપજ્યા બાદ આજે વ્રજપર ગામમાં વીજળી પડતાં વધુ એક યુવાનનું મોત નીપજ્યું હતું.
જસાપર ગામની સીમમાં ચેતન ભરવાડ નામના યુવાન બકરાં ચરાવી રહ્યા હતા ત્યારે જ વીજળી પડી હતી, જેમાં યુવાનની સાથે તેનાં 80 બકરાંનાં પણ મોત થયાં હતાં.
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં આજે ફરી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગામડાંમાં વીજળીના કડાકાભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
જામનગર જિલ્લામાં એક સપ્તાહમાં સતત ચોથી વખત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયાં હતાં.ગુજરાતમાં હવામાન વિભાગની છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી છે, પરંતુ અમરેલી જિલ્લામાં સતત આઠમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો.
આજે અમરેલી જિલ્લાના રાજુલામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજુલામાં ધોધમાર ધોધમાર વરસાદના કારણે બાબરીયાધાર પાસેથી પસાર થતી નવલખા નદીમાં પૂર આવ્યું હતું અને એ વખતે કોઝવે પરથી પસાર થતા બે બાઈક સવાર બાઈક સાથે તણાયા હતા. સદનસીબે બંનેનો બચાવ થયો હતો. જ્યારે બાઈક પાણીમાં તણાઈ ગયું હતું.વરસાદને કારણે બજારમાં પાણી વહેતાં થયાં હતાં.
બનાસકાંઠા જિલ્લામાં પણ આજે અચનાક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. બનાસકાંઠાના ધાનેરા પંથકમાં પણ વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.
Advertisement