સાવજની ભૂમિ કાઠિયાવાડમાં સિંહો અને ખેડૂતો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો ઘણા વર્ષોથી રહ્યા છે. મોટાભાગે સિંહો અને ખેડૂતો સહજીવન જીવે છે. સાવરકુંડલા નજીક ભમોદરા ગામે એક ખેતર એવું છે કે એમાં સો વીઘા જમીનમાં શેરડીનો પાક ઊભો છે. હાલ શેરડીની કટાઈ ચાલુ છે આમ છતાં આ વાડમાં છુપાઈને રહેતા સિંહો કોઈને નુકસાન કર્યા વગર ચૂપચાપ બધી ગતિવિધિ જોયા જ કરે છે કોઈને નુકસાન કરતા નથી.
ભમોદરાના આગેવાન પ્રતાપભાઈ ખુમાણના જણાવ્યા અનુસાર અમારી જમીનમાં શેરડીનો વાડ આવેલો છે, જેમાં સવારે રોજ શેરડીને પાણી છોડવામાં આવે છે અને રોજ સાત વાગ્યાના સુમારે એક વનરાજ પરિવાર આવી જાય છે અને શેરડીના ઘેરા વચ્ચે આસન જમાવી ઠંડકમાં બેસી જાય છે. જે મોડી સાંજ સુધી બેઠા જ રહે છે. અહીં શેરડીની કટાઈ ચાલુ હોવાથી રોજ 30 જેટલી શ્રમિક મહિલાઓ સવારથી સાંજ સુધી શેરડીની કાપણી કરે છે. એમને પણ હવે ડર લાગતો નથી.
બીજી તરફ વનરાજ આસન જમાવીને નિરાંતે ટગર ટગર બધી કાપણીને જોયા કરે છે. સાવજ એટલા નિરાંતે બેસે છે કે ગર્જના કરીને શ્રમિકોને ડરાવવાની કોશીશ કરતા નથી.
મોડી સાંજે આ સિંહો આળસ ખંખેરી ઊભા થાય છે. અહીં બાજુમાં સાવરકુંડલા અમરેલી બાયપાસ પાસે સો વીઘામાં લાઈટ હાઉસની પડતર જમીન છે એમાં જંગલ જેવું થઈ ગયું છે. તેમાં નીલગાય, ભૂંડ, દીપડાઓ, રેઢિયાળ ઢોર વસે છે. એટલે આ બાજુ સિંહો આવીને મારણ કરે છે એ આખી રાત મારણ પાછળ સમય વીતાવીને પાણી પી લીધા બાદ ફરી વાડી ખેતર વિસ્તારમાં વસવાટ કરવા ચાલ્યા જાય છે. આ વિસ્તારમાં અનેક જગ્યાએ સાવજો નિત્ય નિવાસી બની ગયા છે.
આથી લોકોની સાથે દોસ્તી બની ગઈ છે. અહીં લોકો સાવજોનો વિશ્વાસ કરે છે પણ દીપડાઓનો ભરોસો કરતા નથી.
Advertisement