હમણાં હમણાં ગીરના જંગલની આસપાસના વિસ્તારોમાં સિંહ-દિપડાના માનવ પરના હુમલા સામાન્ય થઈ ગયા છે. હાલમાં ત્રણ બનાવો એવા બન્યા જેમાં ત્રણ બાળકોને સિંહ-દિપડા ઉપાડીને ગરકાવ થઈ ગયા. છેલ્લા દસ વર્ષમાં વન્ય પ્રાણીઓ દ્વારા થયેલા હુમલામાં 205 લોકોના જીવ ગયા છે. જ્યારે 1400 લોકો સિંહ-દિપડા દ્વારા ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા બે વર્ષમાં સિંહ-દિપડાના હુમલા દ્વારા 34 જેટલાં લોકોના મૃત્યુ થયા છે.
Advertisement
Advertisement
હમણાં હમણાં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ખારા ગામમાં અને સાવરકુંડલાના કાતર ગામમાં નાના બાળકોને સુતેલા ઊઠાવીને લઈ જનાર સિંહણ અને દિપડાએ આખા પંથકને હચમચાવી મુક્યો છે.
જો કે ગરમીના કારણે ગામડાંમાં ખુલ્લામાં સુવાની એક પ્રથા રહેલી છે. જંગલોમાં શિકાર ન મળતા સિંહ-દિપડા નજીકના ગામો તરફ શિકારની શોધ કરવા નીકળે છે. આવા કિસ્સામાં સિંહ કે દિપડાં નાના બાળકોને નિશાન બનાવે છે.
કોડીનાર, તાલાળા, ધારી, વિસાવદર, જુનાગઢ, વંથલી, ગડુ, જામવાળા આ તમામ વિસ્તારો ગીરના જંગલની આસપાસ આવેલા છે. ત્યાં ગામડાંમાં રાત્રીના ટાઈમે ગરમીથી બચવા ઘરના આંગણે સૂવાનું વધુ પસંદ કરે છે. પરંતુ નાના બાળકો માટે આ નિત્યક્રમ જોખમી છે. જે માલધારીઓ ગીરના જંગલમાં રહે છે તેઓ હંમેશા આ બાબતથી સતેજ છે. પરંતુ ક્યારેક ક્યારેક ગામડાંમાં નિશ્ચિંત રીતે સૂતેલા કે સૂવડાવેલા બાળકોને સાવજ દિપડા ઉપાડી જવાના બનાવો બનતા આવ્યા છે.
જો કે સતત બનતી ઘટનાને પગલે જંગલ ખાતું દીપડાને પાંજરે પૂરવામાં સફળ તો થાય છે પરંતુ બાળક ગુમાયાનું દુઃખ પરિવારને કાયમી શોક મગ્ન કરી દે છે. જંગલ ખાતાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યારે સિંહની વસ્તી 700થી વધુ છે અને દિપડા 1000થી વધુ છે. તેમને ગીરના જંગલમાંથી ખોરાક ન મળતા તે આસપાસના ગામોમાં રાત્રે ફરે છે અને નાના બાળકોને ટાર્ગેટ કરે છે.
Advertisement