લાયન પ્રોજેક્ટ અને અન્ય યોજનાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રુપિયાની ગ્રાન્ટ ખર્ચીને ગીરના જંગલમાં અનેક જગ્યાએ પાણીની કુંડીઓ અને વોટર પોઈન્ટ બનાવાયા છે પણ તેમાં નિયમિત પાણી ભરાય છે કે નહીં તે જોવાવાળું કોઈ ન હોવાનો તાલ થયો છે.
સાસણ ગીરના નાયબ વન સંરક્ષકને લેખિત ફરિયાદમાં એક યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે, વાડલાગીર ગામ પાસે બોરડીવાળા વિસ્તારમાં એક પોઈન્ટ બનાવેલો છે, જે છેલ્લા ઘણા સમયથી ખાલી છે, પોઈન્ટ પર પાણી ભરવા પવન ચક્કીની પણ વ્યવસ્થા કરાઈ છે, પવન ચક્કી બંધ હોવાથી પાણી ભરાતું નથી. પાણી પોઈન્ટ ખાલી હોવાથી સિંહ, દીપડા જેવા અન્ય વન્ય પ્રાણીઓ પાણીની તલાશમાં ગામના ખેતરો તરફ આવે છે, જેના કારણે જંગલની બોર્ડર પર આવેલા ખેતરોના ખેડૂતોએ જંગલી જાનવરોથી સચેત રહેવું પડે છે. આ પ્રાણીઓ ભૂખ અને તરસથી પીડતા હોવાથી ગુસ્સામાં હોય છે, જેના કારણે ગમે ત્યારે માનવ હુમલાઓ કરી બેસે એ સ્વાભાવિક છે.
ઉનાળાના કપરા દિવસોમાં પીવાના પાણી માટે આમથી તેમ ભટકતા વન્ય પ્રાણીઓની પીવાના પાણીની મુશ્કેલીઓ કાયમી અંત લાવવા વાડલા ગીર વિસ્તારના બોરડીવાળો પોઈન્ટ તુરંત ચાલી કરવા બે માસથી બામણાસા ગીર રેન્જ કચેરીને વારંવાર રજૂઆતો કરાઈ છે.
Advertisement