સીસીટીવી કેમરાથી સુસજ્જ અમદાવાદના સીજી રોડ પરના લાલ બંગલા પાસે આજે સાંજે રૂ. 50 લાખની ચીલઝડપ કરીને બે શખસ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સી.જી રોડ પર સીસીટીવી હોવા છતાં બહુ લાંબા સમય પછી આ પ્રકારની કોઈએ હિંમત કરી હોય એવું ધ્યાનમાં આવ્યું છે.
Advertisement
Advertisement
બાઈક પર આવેલા બે શખસો એકટીવા પર જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 50 લાખ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.
આજે સાંજે આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા એક કરોડ લઇને નીકળ્યો હતો અને તેને એક પેઢીમાં 50 લાખ આપી દીધા હતા અને બીજી પેઢીમાં રૂ.પચાસ લાખ આપવા જતો હતો એ સમયે જ આ લૂંટની ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયી હતી અને અલગ અલગ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને બાઈકસવાર લૂંટારાઓની સઘન તપાસ શરુ કરી હતી.
બનાવની વિગત એવી છે કે નારણપુરા પ્રતિક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા વિરેન્દ્ર દવે છેલ્લા કેટલાંક સમયથી આર.કે. આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. શુક્રવારે પેઢીમાં હાજર હતા ત્યારે તેમના મેનેજર રાકેશભાઈએ જણાવ્યુ હતુ કે નવરંગપુરા સીજી રોડ આવેલી ઈસ્કોન આર્કેટની આંગડીયા પેઢીમાંથી રૂ.1 કરોડ લઈને રૂ.50 લાખ વી.પટેલ આંગડીયા પેઢીમાં આપવાના છે અને બીજા રૂ.50 લાખ આપણી પેઢીમાં લાવવા છે. જેથી વિરેન્દ્રકુમાર એક્ટિવા લઈને ઈસ્કોન ખાતે આવેલી આંગડિયા પેઢીમાં ગયા હતા. જ્યાંથી રૂ.1 કરોડ લઈને રૂ.50 લાખ વિ.પટેલ આંગડિયા પેઢીમાં આપ્યા હતા. બાકીના રૂ.50 લાખ ભરેલ થેલો એક્ટિવા પર બેસીને નવરંગપુરા જઈ રહ્યા હતા.
આંગડિયા કર્મી સી.જી.રોડ પર લાલ બંગલા પાસે પહોંચ્યો હતો ત્યારે એક બાઈક પર આવેલા બે શખસોએ એક્ટિવા પાસે આવ્યા હતા અને એક્ટિવાની આગળ મૂકેલા રૂ.50 લાખ ભરેલ બેગની ચીલઝડપ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે વિરેન્દ્રકુમારે તેમની આંગડિયા પેઢીમાં કામ કરતા મેનેજર રાકેશભાઈને જાણ કરી હતી. બાદમાં વિરેન્દ્રકુમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખસોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નવરંગપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement