પાકિસ્તાનના રાજકીય ઘટનાક્રમમાં આકસ્મિક વળાંક કહી શકાય તેવી ઘટનામાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની તેમના લાહોર સ્થિત ઝમન પાર્ક નિવાસસ્થાનેથી ધરપકડ કરવાના ઈરાદા સાથે લાહોર પોલીસે તેમના નિવાસસ્થાનને ઘેરી લીધું છે. અત્રે ઉલ્લેખનીયછે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ ઝફર ઈકબાલે સોમવારે તોશાખાના કેસની સુનાવણી હાથ ધરી હતી. સુનાવણીના અંતે જજે ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યું હતું અને ઈમરાન ખાનને આગામી 18 માર્ચે કોર્ટ સમક્ષ રજૂ કરવા પોલીસને આદેશ આપ્યો હતો. 70 વર્ષીય ઈમરાન ખાન પર તોશાખાના કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. ઈમરાન પર તોશાખાનાની અતિ કિંમતી ચીજો ઓછા ભાવે ખરીદીને વધુ રકમમાં વેચી મારવાનો આરોપ છે.
Advertisement
Advertisement
સવારથી જ પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવાયો
સવારથી જ ઝમન પાર્ક ખાતે મોટી સંખ્યામાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. ઈમરાનના ઘરની બહાર બખતરીયા ગાડીઓનો જમાવડો થઈ ગયો હતો. પોલીસે તેમના ઘર તરફ જતાં તમામ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયાં હતા. તેમના નિવાસસ્થાન બહાર PTI ના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે સમર્થકોને વિખેરી નાખવા ટીયરગેસના શેલ છોડ્યાં હતા અને વોટર કેનનથી પાણીનો મારો પણ ચલાવ્યો હતો.
શું છે તોશાખાના કેસ ?
તોશાખાના – દેશના પ્રમુખ અને વડા પ્રધાનોને મળેલી ભેટસોગાદો રાખવાનું સ્થળ- પાકિસ્તાની સરકારનો એક વિભાગ છે જે કેબિનેટ વિભાગ હેઠળ આવે છે. તેની રચના 1974માં કરવામાં આવી હતી. તેમાં પાકિસ્તાની અધિકારીઓને (માત્ર દેશના પ્રમુખ અને પ્રધાનમંત્રી) ને મળેલી ભેટસોગાદો રાખવામાં આવે છે. કોઈક ભેટની કિંમત રૂ.30,000થી ઓછી હોય તો તે પ્રમુખ અથવા પ્રધાનમંત્રી તેમની પાસે રાખી શકે છે. જોકે, તેથી વધુ કિંમતની મોંઘી ભેટો કાયદા પ્રમાણે તોશાખાનામાં જ જમા કરાવવી પડે છે. ઈમરાન ખાન પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે અતિ મોંઘી ભેટસોગાદો પણ તેમની પાસે જ રાખી હતી. તે તેમણે તોશાખાના વિભાગમાં જમા કરાવી ન હતી.
મહિલા જજને ધમકાવવા બદલ ઈમરાન સામે બિનજામીનપાત્ર વોરંટ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની મુશ્કેલીઓનો અંત આટલે થી જ થશે તેવું નથી. ઈસ્લામાબાદની એક અન્ય કોર્ટે પણ એક મહિલા જજને ધમકાવવાના મામલે ઈમરાન ખાન સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. કોર્ટે તેના આદેશમાં પોલીસને ઈમરાન ખાનની ધરપકડ કરીને 29 માર્ચે હાજર કરવા જણાવ્યું હતું. જોકે, મંગળવારે કોર્ટે વોરંટનો અમલ 16 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખ્યો હતો.
Advertisement