નવી દિલ્હીઃ ભારતમાં ખાલિસ્તાન સમર્થકો પરના થયેલી કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈ કમિશનના પરિસરમાં દેખાવો યોજાયા હતા. રવિવારે દેખાવકારોએ પરિસરમાંથી ભારતીય તિરંગો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઉપરાંત, તેમણે પરિસરમાં તોડફોડ પણ કરી હતી. પરંતુ, હવે ભારતીય હાઈ કમિશન પર વિશાળ તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓના મોં પર જોરદાર તમાચો માર્યો છે.
Advertisement
Advertisement
ભારત સરકારે તિરંગો ઉતારવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેનો વિરોધ વ્યક્ત કરવા માટે સરકારે દિલ્હી ખાતેના બ્રિટનના વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું.
લંડનમાં શા માટે થયાં દેખાવો ?
પંજાબમાં પોલીસે ખાલિસ્તાન સમર્થકો પર પોતાની પકડ વધુ કડક કરવાનું શરૂ કરી દીધું છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના વડા અને ખાલિસ્તાન સમર્થક અમૃત પાલ સિંહને ભાગેડુ અપરાધી જાહેર કર્યો છે, જ્યારે તેના 78 સમર્થકોની ધરપકડ કરી હતી.
અમૃત પાલની ધરપકડ માટે પોલીસ વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. આ કાર્યવાહીનો ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં વિરોધ કર્યો હતો.પંજાબમાં 20 માર્ચ સુધી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેને એક દિવસ વધારીને 21 માર્ચ સુધી કરાયો છે.
બ્રિટનના વરિષ્ઠ રાજદ્વારીને ભારત સરકારનું સમન્સ
લંડનમાં બનેલી આ ઘટના અંગે ભારત સરકારે દિલ્હીમાં બ્રિટનના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે જે સમયે ભારતીય હાઈ કમિશનના પરિસરમાં આ ઘટના બની તે સમયે ત્યાં કોઈ સુરક્ષા કર્મચારી હાજર ન હતા.
આ અંગે બ્રિટિનના રાજદૂત પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. ભારત સરકારે આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ યુકેના રાજદ્વારી સમક્ષ કરી છે.
બ્રિટનના રાજદ્વારીએ કહ્યું- આ ઘટના સાંખી લેવાય નહીં
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્રિટનના સૌથી વરિષ્ઠ રાજદૂત એલેક્સ એલિસ દિલ્હીની બહાર ગયા હતા.તેને લીધે બ્રિટનના ઉપ-વરિષ્ઠ રાજદ્વારી ક્રિસ્ટીના સ્કોટ ભારતીય વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયાં હતા. તેમણે કહ્યું કે બ્રિટન સરકાર તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરશે.
આ ઘટના અંગે બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન પરિસર અને ત્યાંના લોકો વિરુદ્ધ આ ઘૃણાસ્પદ કૃત્યની ટીકા કરે છે. તેને કોઈપણ રીતે સાંખી લેવાય તેમ નથી.
Advertisement