દિલ્હીઃ ભારત રાષ્ટ્ર સમિતિ MLC અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના પુત્રી કવિતા સંસદના વર્તમાન બજેટ સત્રમાં મહિલા અનામત વિધેયક રજૂ કરવાની માંગ સાથે જંતર-મંતર ખાતે એક દિવસીય ભૂખ હડતાળ પર ઉતર્યા છે. તેમની આ ભૂખ હડતાળને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી સહિત દેશના 18 વિરોધપક્ષોએ સમર્થન આપ્યું છે.
સીતારામ યેચૂરી, સપા નેતા સીમા શુક્લા, તેલંગાણાના શિક્ષણ મંત્રી સવિતા ઈન્દ્ર રેડ્ડી જેવાં ઘણાં નેતા તેમાં જોડાયા હતા.
Advertisement
Advertisement
વિધેયક રજૂ નહીં થાય ત્યાં સુધી આંદોલન કરતા રહીશું
આ પ્રસંગે બીઆરએસ MLCના કવિતાએ કહ્યું કે જે રીતે સમગ્ર દુનિયાનો વિકાસ થઈ રહ્યો છે તેટલી જ ઝડપથી હિંદુસ્તાનનો વિકાસ કરવો હોય તો મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં ભાગીદારી મળવી જોઈએ અને આ ક્ષેત્રમાં ભાગીદારી મેળવવા માટે મહિલા અનામત વિધેયક લાવવું જરૂરી છે. પરંતુ, આ વિધેયક છેલ્લાં 27 વર્ષથી પડતર છે.
મહિલા અનામત વિધેયક રજૂ કરવાની માંગ સાથે જંતર-મંતર ખાતે એક દિવસીય ભૂખ હડતાળ પર ઉતરેલા કવિતાએ વધુમાં કહ્યું, હું તમને વચનઆપું છું કે જ્યાં સુધી આ વિધેયક નહીં આવે ત્યાં સુધી અમે અપનાવેલો માર્ગ છોડીશું નહીં. આંદોલન કરતા રહીશું કારણ કે આ વિધેયકથી હિંદુસ્તાનનું કલ્યાણ થઈ શકશે.
ઈડીએ પાઠવી છે નોટિસ
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના પુત્રી કવિતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સમન્સ પાઠવીને બોલાવ્યા છે. દિલ્હી શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા એક મામલામાં ED કવિતાની પૂછપરછ કરશે. EDની આ કાર્યવાહી પર કવિતાએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અમે ED સાથે છીએ. અમે તેમનું સમર્થન કરીએ છીએ. આપણે તેલંગાણાની વાત કરીએ તો ગયા જૂન મહિનાથી કેન્દ્ર સરકાર સતત એજન્સીઓને તેલંગાણા મોકલી રહી હતી, કારણ કે ત્યાં ચૂંટણીઓ હતી. તેમની આ જ આદત છે, જ્યાં પણ ચૂંટણી હોય છે ત્યાં મોદીજીની પહેલા ED પહોંચી જાય છે.
Advertisement