ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ ખાતુ ખોલાવ્યુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરની કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજાનો વિજય થયો છે. કાંધલ જાડેજાને NCPએ મેન્ડેટ ના આપતા સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
Advertisement
Advertisement
કાંધલ જાડેજા પાર્ટી નહી પણ નામથી જીતે છે
કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાએ ભાજપના ઢેલીબેન ઓડેદરાને 26712 મતથી હરાવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહીં થયું હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.
કોણ છે કાંધલ જાડેજા?
કાંધલ જાડેજા લેડી ડૉન સંતોકબેન જાડેજાના પુત્ર છે. તે કુતિયાણાના દબંગ નેતા ગણાય છે. આ પહેલા તે NCPની ટિકિટ પર 2012 અને 2017માં વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યા છે પરંતુ આ વખતે NCPએ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી. એવામાં કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ આપવામાં આવી નહતી. તે બાદ કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.
કાંધલ જાડેજાનો કુતિયાણામાં દબદબો
કુતિયાણામાં કાંધલ જાડેજા કોઇ પણ પાર્ટીથી ચૂંટણી લડે તેની જીત નક્કી માનવામાં આવે છે. આ દબદબાથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે. 2017થી કાંધલ જાડેજા રાજ્યસભા હોય કે પછી રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તે હંમેશા પાર્ટી વિરૂદ્ધ વોટિંગ કરતા રહ્યા છે. 2017માં રાજ્યસભા ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા અહેમદ પટેલ વિરૂદ્ધ ખુલીને વિરોધ કરતા ભાજપ કેન્ડિડેટને મત આપ્યા હતા. તે બાદ દરેક રાજ્યસભા ચૂંટણીમાં તે ભાજપના ઉમેદવારને મત આપતા રહ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તેમણે પાર્ટી લાઇનથી અલગ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મૂર્મુને મત આપ્યો હતો.
Advertisement