નવી દિલ્હી: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનનો મુદ્દો ચર્ચામાં છે. એવામાં રાજ્ય સરકાર કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આફત પ્રભાવિતોના બચાવ અને પુનર્વાસની યોજના બનાવી રહી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દરેક પ્રભાવિત પરિવારને દોઢ લાખ રૂપિયા વચગાળાની સહાય તરીકે આપવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
કેટલી બિલ્ડિંગ પ્રભાવિત થઇ અને કેટલુ વળતર આપવામાં આવશે?
ઉત્તરાખંડ સરકાર અનુસાર, જોશીમઠમાં 723 ક્ષતિગ્રસ્ત ઇમારતોની ઓળખ કરવામાં આવી છે અને બુધવાર સુધી 131 પરિવારોના 462 લોકોને અસ્થાયી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
સરકારે સ્પષ્ટ કર્યુ કે સ્થાનિક લોકોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે અને ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને બજાર દરે વળતર આપવામાં આવશે. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 33 અને 34 હેઠળ લોકોનું પુનર્વસન કરવામાં આવશે.
અત્યારે શું આર્થિક મદદ આપવામાં આવી રહી છે?
મુખ્ય પ્રધાનના સચિવ આર મીનાક્ષી સુંદરમે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ઘરો બદલવા માટે 50,000 રૂપિયા એડવાન્સ અને આપત્તિ રાહત તરીકે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો ભાડાના મકાનમાં રહેવા માંગે છે તેમને આગામી છ મહિના માટે દર મહિને 4,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે આવાસ અને શહેરી વિકાસ વિભાગને જોશીમઠ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
અસરગ્રસ્ત પરિવારોને ક્યાં ખસેડવામાં આવી રહ્યા છે?
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જોશીમઠમાં 200થી વધુ ઘરોને ઓળખવામાં આવ્યા છે અને તેમને લાલ નિશાન લગાવવામાં આવ્યા છે અને આ ઘરમાં રહેતા લોકોને અસ્થાયી રાહત કેન્દ્રો અથવા ભાડાના મકાનોમાં સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે. જોશીમઠમાં કુલ 16 સ્થળોએ અસરગ્રસ્ત લોકો માટે અસ્થાયી રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના રહેવા માટે હોટલ, ગેસ્ટ હાઉસ, સ્કૂલ બિલ્ડીંગ અને પીપલકોટીમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અસરગ્રસ્તોના પુનર્વસન માટે શું યોજના છે?
ઉત્તરાખંડ સરકાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) સાથે મળીને અસરગ્રસ્તોનું પુનર્વસન કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં, અસરગ્રસ્ત લોકોને કોટી કોલોની, પીપલકોટી અને જડીબૂટી સંસ્થાન ત્રણ સ્થળોએ શિફ્ટ કરવાનો વિચાર છે. આ માટે ટૂંક સમયમાં પસંદ કરાયેલા સ્થળોનો ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ કરવામાં આવશે.
મુખ્ય સચિવ એસએસ સંધુએ માહિતી આપી હતી કે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાય મળી રહી છે અને જો જરૂર પડશે તો એક પેકેજ તૈયાર કરીને કેન્દ્રને મોકલવામાં આવશે.
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કેટલા પૈસા ખર્ચ્યા?
જોશીમઠ આપત્તિ પીડિતોને મદદ કરવા માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા 11 કરોડ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક કરોડ રૂપિયા પહેલેથી જ બહાર પાડવામાં આવ્યા છે. આ સિવાય દરેક અસરગ્રસ્ત પરિવારને 1.5 લાખ રૂપિયા આપવાની મુખ્યમંત્રીની સંમતિ બાદ સરકાર આ માટે 45 કરોડ રૂપિયાનો આદેશ જારી કરશે. જોશીમઠને ડિઝાસ્ટર પ્રોન એરિયા જાહેર કર્યા બાદ રાજ્ય સરકારને પણ આપત્તિ હેઠળ કેન્દ્ર પાસેથી બજેટ મળવાની અપેક્ષા છે.
શું અસરગ્રસ્તો સરકારની કામગીરીથી ખુશ છે?
મોટાભાગના અસરગ્રસ્તો સરકારની કામગીરીથી સંતુષ્ટ છે, પરંતુ કેટલાક લોકો ઈમારતોને તોડી પાડવાનો વિરોધ કરી રહ્યા છે. સરકારે ક્ષતિગ્રસ્ત ઈમારતોને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. વહીવટીતંત્રની ટીમ બે હોટલ તોડવા પહોંચી હતી, પરંતુ હોટલ માલિક અને સ્થાનિક લોકો ધરણા પર બેસી ગયા હતા. હોટલ માલિકે કહ્યું કે તેમને અગાઉ જાણ કર્યા બાદ યોગ્ય વળતર મળવું જોઈતું હતું.
સરકારે વળતરની જાહેરાત કરી છે અને કાર્યવાહી અટકાવી દીધી છે.
દેખાવો પર સરકારનું શું કહેવું છે?
વહીવટીતંત્રનું કહેવું છે કે સર્વેની કામગીરી એક સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે અને તમામ અસરગ્રસ્તોને વળતર આપવામાં આવશે. અસરગ્રસ્તોનું કહેવું છે કે વહીવટીતંત્ર માર્કેટ રેટ પ્રમાણે વળતર આપવાની વાત કરી રહ્યું છે, પરંતુ કેટલું વળતર આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. વિરોધને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ધામીએ ચાર્જ સંભાળી લીધો છે.
Advertisement