દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (JNU)માં હવેથી ધરણાં-દેખાવો કરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિરોધ દેખાવો અને ધરણાં યોજનારા વિદ્યાર્થીઓએ રૂ. 20,000 દંડ ચૂકવવો પડશે.
Advertisement
Advertisement
હિંસા કરનારને રૂ.30,000 દંડની જોગવાઈ
વિશ્વવિદ્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી 10 પાનાની ગાઈડલાઈન્સમાં 17 પ્રકારના ગુનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ કોઈ વિદ્યાર્થી JNU પરિસરમાં વિરોધ દેખાવો કરશે તો તેને રૂ.20,000 દંડ થશે. તે સાથે જ કોઈ વિદ્યાર્થી JNU પરિસરમાં હિંસા કરશે તો તેનું એડમિશન રદ થઈ શકશે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના હિંસક દેખાવો કરવા બદલ રૂ.30,000નો દંડ થઈ શકશે.
વાલીને ફરિયાદની નકલ મોકલવામાં આવશે
વિશ્વવિદ્યાલય દ્વારા જે 17 પ્રકારના ગુના માટે સજા નક્કી કરવામાં આવી છે તેમાં જુગાર રમવો, હોસ્ટેલના રૂમો પર કબજો જમાવવો, ભૂખ હડતાળ પર ઉતરવું, અભદ્ર ભાષાનો ઉપયોગ, છેતરપિંડી અને વિશ્વવિદ્યાલય પરિસરના કોઈપણ ભાગને બ્લોક કરવો વગેરેનો સમાવેશ થાય છે. કોઈ વિદ્યાર્થી આ ગુનાઓમાં દોષી જણાશે તો તે ફરિયાદની એક કોપી તેના માતા-પિતાને મોકલવામાં આવશે. તેમાં વિદ્યાર્થીએ કયો ગુનો કર્યો છે તે પણ જણાવવામાં આવશે.
પ્રાધ્યાપકો અંગેના કિસ્સાઓની સુનાવણી ફરિયાદ નિવારણ સમિતિ કરશે
જે કિસ્સામાં વિદ્યાર્થીઓ સાથે પ્રાધ્યાપકો સંકળાયેલા હશે તેની સુનાવણી કેન્દ્રીય સ્તરની ફરિયાદ નિવારણ સમિતિ કરશે. યૌન શોષણ, વિદ્યાર્થિનીઓની છેડતી, રેગિંગ અને સાંપ્રદાયિક સૌહાર્દનો ભંગ કરનારા કિસ્સાઓની સુનાવણી વિશ્વવિદ્યાલયના ચીફ પ્રોક્ટરની ઓફિસમાં કરવામાં આવશે.
ગાઈડલાઈન્સમાં એમ પણ જણાવાયું છે કે સુનાવણી દરમિયાન કોઈ ત્રીજો પક્ષ આરોપીઓ અથવા ફરિયાદકર્તાઓનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં. આ તમામ નિયમો વિશ્વવિદ્યાલયના ફૂલ ટાઈમ અને પાર્ટ- ટાઈમ બન્ને પ્રકારના વિદ્યાર્થીઓને લાગૂ થશે.
BBCની ડોક્યુમેન્ટરી અંગે JNUમાં થયો હતો વિવાદ
JNU પરિસરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી BBCની ડોક્યુમેન્ટરી ‘ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ના સ્ક્રિનિંગ અંગે ભારે વિવાદ થયો હતો. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ 25 જાન્યુઆરીએ ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ રાખ્યું હતું.
તે દરમિયાન કથિત રીતે વીજળી ગુલ થવા અને ઈન્ટરનેટ બંધ થવા અંગે વિરોધ દેખાવો થયા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ પર પથ્થરબાજીના આરોપ પણ લાગ્યા હતા.
વિરોધ દેખાવોને લીધે ચર્ચામાં રહે છે JNU
આ અગાઉ 5 જાન્યુઆરી, 2020ની રાત્રે JNUમાં ફી વધારાના વિરોધમાં દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ પર 50થી વધુ બુકાનીધારી શખ્સોએ હુમલો કર્યો હતો. તેમાં સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આઈશી ઘોષ સહિત 35 જણા ઘાયલ થયા હતાં.
ગયા વર્ષે રામનવમીએ વિશ્વવિદ્યાલયમાં માંસાહારી ખોરાકના મામલે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
ડિસેમ્બર, 2022માં વિશ્વવિદ્યાલય પરિસરના એક બિલ્ડીંગ પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. તેના વિરોધમાં દેખાવો યોજાયા હતા.
Advertisement