ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાવાની છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેની માટે તૈયારી કરી રહી છે. ભાજપે વધુ 3 બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. મહેસાણાની ખેરાલુ બેઠક પર ભાજપે સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જયરાજ સિંહ પરમારના ખેરાલુ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવાના અરમાન અધૂરા રહી ગયા છે. જયરાજ સિંહ પરમાર માટે ના ઘરના કે ના ઘાટના જેવો ઘાટ સર્જાયો છે.
Advertisement
Advertisement
37 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ ભાજપમાં ગયા હતા જયરાજ સિંહ
કોંગ્રેસના પ્રવક્તા અને ક્ષત્રિય સમાજના નેતા જયરાજ સિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. સતત ચાર વિધાનસભા અને ગત વખતની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ટિકિટ માંગતા આવી રહ્યા હતા પરંતુ પાર્ટી તેમણે ટિકિટ આપતી નહતી, જેને કારણે તે કોંગ્રેસથી નારાજ હતા. જોકે, હવે તે ભાજપમાં ટિકિટની આશા સાથે જોડાયા હતા પણ ભાજપે પણ ખેરાલુ બેઠક પરથી તેમને વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપી નહતી.
મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠક પરથી જયરાજ સિંહ ચૂંટણી લડવા માંગતા હતા. મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને વિપક્ષના નેતા રહેવા સિવાય તે દોઢ દાયકાથી કોંગ્રેસના પ્રવક્તા પણ રહી ચુક્યા છે.
અર્બુદા સેના દ્વારા ચરાડામાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રદર્શનમાં ભાજપ સાથે સમાધાન થયુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ખેરાલુ બેઠક પરથી કોઇ ચૌધરી ઉમેદવારને જ ટિકિટ આપવાનું નક્કી થયુ હતુ. આ બેઠક પર રમીલાબેન દેસાઇનું નામ પણ ચર્ચામાં હતુ અને વિપુલ ચૌધરીના પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની વાત ચર્ચામાં હતી. જોકે, અંતે ભાજપે આ બેઠક પર સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપી હતી. ખેરાલુ બેઠક પરથી અજમલજી ઠાકોરની ટિકિટને કાપવામાં આવી છે.
ખેરાલુ બેઠક પર જામશે જંગ
ખેરાલુ બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળશે. ભાજપે ખેરાલુ બેઠક પર સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ખેરાલુ બેઠક પર કોંગ્રેસે મુકેશ દેસાઇને ઉમેદવાર બનાવ્યા છે. મુકેશ દેસાઇ સામાજીક કાર્યકર છે અને છેલ્લા ઘણા વર્ષથી ખેરાલુમાં લોકઉપયોગી કામ કરતા રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુકેશ દેસાઇને ટિકિટ આપી નહતી અને જેને કારણે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભરતસિંહ ડાભીને 59847 મત જ્યારે અપક્ષ ઉમેદવાર મુકેશ દેસાઇને 38432 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ પણ ખેરાલુ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ખેરાલુ બેઠક પરથી ભગત પટેલને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: ભાજપે 3 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, ખેરાલુથી સરદાર ચૌધરીને ટિકિટ
ભાજપનો ગઢ રહી છે ખેરાલુ બેઠક
ખેરાલુ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. છેલ્લી ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો આ બેઠક પર વિજય થયો છે. 2002માં રમીલાબેન દેસાઇ આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. તે પછી ત્રણ ટર્મ (2002,2012, 2017)માં ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. ભરતસિંહ ડાભી 2019ની લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી અને પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 2019માં પેટા ચૂંટણીમાં અજમલજી ઠાકોરનો વિજય થયો હતો.
Advertisement