ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ ચૂંટણીનો ઉત્સાહ વધવા લાગ્યો છે અને રાજકીય પક્ષો એક પછી એક પોતાના કાર્ડ ખોલી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે શુક્રવાર, 4 નવેમ્બરે AAPના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ અને ભૂતપૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીને ગુજરાત ચૂંટણી માટે પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે જાહેર કર્યા.
Advertisement
Advertisement
ઈસુદાન ગઢવીએ AAPના સીએમ ઉમેદવાર તરીકેની જાહેરાત બાદ કેજરીવાલનો આભાર માન્યો અને કહ્યું, “હું આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને ખાસ કરીને ગુજરાતની જનતાનો મારામાં વિશ્વાસ દર્શાવવા અને મારા જેવા સામાન્ય માણસને આટલી મોટી જવાબદારી આપવા બદલ આભાર માનું છું. હું વચન આપું છું કે જાહેર સેવક બનીને હું હંમેશા જનહિતમાં કામ કરીશ.”
એક સમયે ઇશુદાન ગઢવી એક ખાનગી ચેનલ પર ખેડૂતો અને સામાન્ય લોકોની સમસ્યાઓને જોર-શોરથી ઉઠાવીને સરકારની ઝાટકણી કાઢતા હતા.
ગુજરાતી મીડિયામાં ઘણી ઓછી સંસ્થાઓ છે, જેઓ સામાન્ય લોકોની સમસ્યાઓને ઉઠાવે છે, તેવા સમયે ઇશુદાન ગઢવીએ પોતાના શોમાં સામાન્ય વ્યક્તિ અને તેની સમસ્યાઓનો સમાવેશ કર્યો હતો. આ દરમિયાન તેઓ ખાસા લોકપ્રિય બન્યા હતા. સામાન્ય લોકોની સમસ્યાઓને વાંચા આપીને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરનાર ગઢવી લોકપ્રિય થવા લાગ્યા હતા.
આજે સમયે એવી તો કરવટ લીધી છે કે ગુજરાતની જનતાએ તેમની સમસ્યાઓને વાંચા આપનાર ઇશુદાન ગઢવી પોતે સરકારમાં બેસે અને તેઓ જ સરકારના વડા બને તેવી આશા વ્યક્ત કરી છે. એક સમયે સરકારને આયનો બતાવનાર ઇશુદાન ગઢવીને જ ગુજરાતની જનતાએ સીએમ પદના સક્ષમ ઉમેદવાર બનાવી દીધા છે.
કોણ છે ઇસુદાન ગઢવી?
10 જાન્યુઆરી, 1982ના રોજ જન્મેલા 40 વર્ષીય ઇસુદાન ગઢવી હાલમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ છે. તેઓ ગુજરાતમાં રાજકીય રીતે પ્રભાવશાળી OBC વર્ગના છે. ગઢવી ગુજરાતના દ્વારકા જિલ્લાના પીપળીયા ગામમાંથી સમૃદ્ધ ખેડૂત પરિવાર અને અન્ય પછાત જાતિમાંથી આવે છે, જે રાજ્યની વસ્તીના 48 ટકા છે.
ગઢવીએ 2005માં ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મીડિયા પ્લેટફોર્મ માટે પત્રકાર તરીકે કામ કર્યું હતું. ગઢવીએ શરૂઆતમાં દૂરદર્શન માટે કામ કર્યું હતું. પાછળથી પત્રકાર તરીકેની તેમની કારકિર્દીમાં તેમણે ગુજરાતના ડાંગ જિલ્લામાં ₹150 કરોડના વનનાબૂદીના કૌભાંડનો પર્દાફાશ કર્યો, જેનાથી સરકારને ગુનેગારો અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પ્રેર્યા.
પત્રકાર તરીકે ગઢવીની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ હતી કે લોકોની માંગ પર તેમનો રાત્રે 8-9 વાગ્યાનો શોને અડધો કલાક માટે 9:30 વાગ્યા સુધી લંબાવવો પડ્યો હતો. ઇસુદાન ગઢવી 2021માં AAPમાં જોડાયા હતા.
શું છે ઇસુદાન ગઢવીને લગતો વિવાદ?
જાન્યુઆરી 2022માં ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની પોલીસે 20 ડિસેમ્બર 2021 ના રોજ કમલમ કોબા ખાતે AAP અને ભાજપના કાર્યકરો વચ્ચેની અથડામણ દરમિયાન દારૂ પીવાના આરોપમાં ઇસુદાન ગઢવીની ધરપકડ કરી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં તેમના લોહીમાં આલ્કોહોલ હોવાની પુષ્ટિ થયા બાદ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી.
AAPએ તેમના સીએમ ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીને કેમ પસંદ કર્યા?
ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીમાં જોડાયાને માંડ એક વર્ષ થયું છે અને તેઓ પાર્ટીમાં યુવા તુર્ક તરીકે ઓળખાય છે. રાજ્ય પાર્ટી યુનિટના વડા ગોપાલ ઇટાલિયાને છોડીને AAPએ ઇસુદાન ગઢવી પર દાવ લગાવ્યો છે. ગોપાલ ઈટાલિયાએ પાટીદાર સમાજના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગની પૂછપરછ બાદ દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાને થોડા કલાકો માટે અટકાયતમાં લીધો હતો.
રસપ્રદ વાત એ છે કે, ગઢવીએ તેમની પત્રકારત્વ કારકિર્દી ત્યારે છોડી દીધી જ્યારે તે વધી રહી હતી અને ગોપાલ ઇટાલિયા પોતે જ તેમના પાસે AAPમાં જોડાવા માટે આમંત્રણ લઇને ગયા હતા.
રાજકીય વિશ્લેષકો માને છે કે ઇસુદાન ગઢવી જેઓ OBC સમુદાયમાંથી આવે છે, જે રાજ્યની લગભગ 48% વસ્તી ધરાવે છે, તેઓ ભ્રષ્ટાચાર વિરોધી અને પ્રથમ પેઢીના રાજકારણી છે જેમના પરિવારને રાજકારણ સાથે અગાઉ કોઈ લેવાદેવા નથી. આ મામલામાં ખુદ ઇસુદાન ગઢવી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલની કેટેગરીમાં ઉભા જોવા મળી રહ્યા છે.
દિલ્હી અને પંજાબ પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે, ગઢવીની આ છબીની મદદથી કોંગ્રેસની નબળી તૈયારીથી અને ભાજપ શાસનથી નારાજ મતોને પોતાની તરફેણમાં લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. AAPનો પ્રયાસ છે કે કોંગ્રેસના મતો ભાજપને ન જાય, પરંતુ તે ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતની ચૂંટણીના મેદાન પર હાજર રહે અને તે કોંગ્રેસની ચિંતાનું કારણ પણ બન્યું છે.
ગયા મહિને ગઢવીએ દ્વારકા જિલ્લામાંથી “બસ, હવે પરિવર્તન જોઇયે” નામની યાત્રા શરૂ કરી. તે 67 મતવિસ્તારોને આવરી લીધા પછી તે 20 નવેમ્બરે સમાપ્ત થવાની છે.
ઇસુદાન ગઢવી સિવાય AAPના અન્ય કયા નેતાઓના નામ આગળ ચાલી રહ્યાં હતા?
AAP સુપ્રીમો કેજરીવાલે કહ્યું છે કે “અમે એક રૂમમાં બેસીને સીએમ ઉમેદવાર કોણ હશે તે નક્કી નથી કરતા. ભગવંત માનને AAP દ્વારા નહીં પરંતુ પંજાબની જનતાએ ચૂંટ્યા છે, તેવી જ રીતે ઇસુદાન ગઢવીનું નામ પસંદ કરવામાં આવ્યું છે. લોકો દ્વારા.” કેજરીવાલના જણાવ્યા અનુસાર, 16,48,500 લોકોએ સીએમ ઉમેદવાર પરના લોકોના અભિપ્રાયનો જવાબ આપ્યો અને તેમાંથી 73 ટકા લોકોએ ઇસુદાન ગઢવીને પોતાનો મત આપ્યો.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદની રેસમાં ઇસુદાન ગઢવી ઉપરાંત પાટીદાર નેતા અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથેરિયા, ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ અને મનોજ સુરતિયાના નામ પણ ચાલી રહ્યા હતા.
Advertisement